નાઈઝરમાં હિંસા : ભારત સરકારે ભારતીયોને વહેલી તકે નાઈઝર છોડવા આપી સલાહ

નાઈઝરમાં હિંસા : ભારત સરકારે ભારતીયોને વહેલી તકે નાઈઝર છોડવા આપી સલાહ
Image – Twitter

આફ્રિકન દેશ નાઈઝરમાં લગભગ બે અઠવાડિયાથી હિંસા ભડકી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, અમે નાઈઝરમાં ચાલી રહેલી સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકો કે જેમની પાસે નાઇઝરમાં આવશ્યક નિવાસ નથી, તેઓને વહેલી તકે નાઇઝર છોડી દેવાની સલાહ આપવામાં આવે છે.

સલામતી અને સુરક્ષાને લઈને ખૂબ કાળજી રાખવી જરૂરી

તેમણે વધુમાં કહ્યું કે, નાઈઝરમાં રહેતા ભારતીય નાગરિકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે, હાલમાં નાઈઝરમાં હવાઈ સેવા બંધ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, જો તેઓ સડક માર્ગે દેશ છોડી રહ્યા છે, તો સલામતી અને સુરક્ષાને લઈને ખૂબ કાળજી રાખવી જરૂરી છે.

આગામી દિવસોમાં નાઈઝરની મુલાકાતનો પ્લાન મુલતવી રાખજો

એડવાઈઝરીમાં જણાવ્યું છે કે, જેઓ આગામી દિવસોમાં નાઈઝરની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે તેમને પણ સલાહ આપવામાં આવે છે કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આ પ્રકારનું કોઈ આયોજન કરશો નહીં. ઉપરાંત, જેમણે હજી સુધી નાઇઝરની રાજધાની નિયામીમાં ભારતીય દૂતાવાસમાં નોંધણી કરાવી નથી, તેઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે ભારતીય દૂતાવાસમાં નોંધણી કરાવે. સરકારે ઈમરજન્સી સંપર્ક માટે નંબર પણ જારી કર્યો છે. કટોકટીના કિસ્સામાં, ભારતીય નાગરિકો નિયામીમાં ભારતીય દૂતાવાસનો નંબર (+227 9975 9975) પર સંપર્ક કરી શકે છે.

નાઈઝરમાં હાલ કેટલાક ભારતીય નાગરિક

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીને જ્યારે પૂછવામાં આવ્યું કે, હાલમાં નાઈઝરમાં કેટલા ભારતીય નાગરિકો છે? તેના જવાબમાં તેમણે કહ્યું કે, ત્યાં લગભગ 250 ભારતીય નાગરિકો છે.

Share: