પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ આજે આપશે રાજીનામું, આ વ્યક્તિને બનાવાશે કાર્યકારી વડાપ્રધાન

પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ આજે આપશે રાજીનામું, આ વ્યક્તિને બનાવાશે કાર્યકારી વડાપ્રધાન

ઈસ્લામાબાદ, તા.09 ઓગસ્ટ-2023, બુધવાર

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ આજે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને નેશનલ એસેમ્બલી ભંગ કરવાની ઔપચારિક ભલામણ કરશે. સંસદના નીચલા ગૃહનો 5 વર્ષનો કાર્યકાળ 12 ઓગસ્ટે સમાપ્ત થશે. એઆરવાઈ ન્યૂઝ, ડેલી પાકિસ્તાન અને પાકિસ્તાન ઓબ્જર્વરના અહેવાલો મુજબ શાહબાઝ શરીફે રાજીનામું આપ્યા બાદ જલીલ અબ્બાસ જિલાની કાર્યકારી વડાપ્રધાન બની શકે છે. 

જલીલ અબ્બાસ જિલાની કોણ છે ?

જલીલ અબ્બાસ જિલાની વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરવા વડાપ્રધાન આવાસ પર પહોંચ્યા હતા. પૂર્વ વિદેશ સચિવ જલીલ અબ્બાસ જિલાની અમેરિકા અને યૂરોપીય સંઘના રાજદૂત, ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાનના હાઈ કમિશનર અને ભારતમાં પાકિસ્તાનના ડેબ્યુટી હાઈ કમિશનર તરીકે કામ કરી ચુક્યા છે.

પાકિસ્તાનમાં વચગાળાની સરકાર સંભાળશે સત્તા 

નેશનલ એસેમ્બલી ભંગ થયા બાદ પાકિસ્તાનમાં આગામી સામાન્ય ચૂંટણીનો માર્ગ મોકળો થઈ જશે. શાહબાઝ શરીફે મંગળવારે કહ્યું હતું કે, વર્તમાન સરકારનો કાર્યકાળ સમાપ્ત થવા પર હું નેશનલ એસેમ્બલી ભંગ કરવા રાષ્ટ્રપતિને બુધવારે પત્ર લખીશ અને તેની ભલામણ કરીશ… ત્યારબાદ વચગાળાની સરકાર સત્તા સંભાળશે.

તેમણે કહ્યું કે, પાકિસ્તાનની જનતા નવેમ્બર-2023માં યોજાનારી ચૂંટણી દ્વારા પોતાની સરકાર ચૂંટશે.. પાકિસ્તાન ચૂંટણી પંચે હજુ સુધી સામાન્ય ચૂંટણી માટેની કોઈ જાહેરાત કરી નથી. દરમિયાન રાષ્ટ્રપતિ અલ્વી એસેમ્બલી ભંગ કરવા માટે તુરંત નોટિફિકેશન જારી કરી શકે છે અને જો તેવો આમ નહીં કરે તો આગામી 48 કલાક બાદ એસેમ્બલી આપોઆપ ભંગ થઈ જશે.

શાહબાઝ શરીફ 2022માં બન્યા હતા વડાપ્રધાન

વડાપ્રધાન શરીફે મંગળવારે જનરલ હેડક્વાર્ટર (જીએચક્યુ)માં તેમની ફેરવેલ વિઝિટ પણ કરી હતી. 10 એપ્રિલ-2022ના રોજ પાકિસ્તાનમાં રાજકીય સંકટ ઉભું થયું હતું, જેમાં તત્કાલિન વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લવાયો હતો, ત્યારબાદ વિપક્ષોએ વડાપ્રધાન પદના ઉમેદવાર માટે શાહબાઝ શરીફનું નામ આગળ ધર્યું હતું. શરીફે બીજા દિવસે એટલે કે 11 એપ્રિલ-2022ના રોજ વડાપ્રધાન પદની શપથ લીધી હતી.

Share: