નૂંહમાં 11 ઓગસ્ટ સુધી મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ, કર્ફ્યુમાં 9 ઓગસ્ટે મળશે રાહત

નૂંહમાં 11 ઓગસ્ટ સુધી મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ, કર્ફ્યુમાં 9 ઓગસ્ટે મળશે રાહત

તા. 8 ઓગસ્ટ 2023, મંગળવાર

હરિયાણા સરકારે નૂંહમાં મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર તરફથી જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે 11 ઓગસ્ટ સુધી મોબાઈલ ઈન્ટરનેટ બંધ રહેશે. આમ કરવા પાછળનું કારણ છે કે ત્યાં કોઈ ખોટી અફવાઓ ન ફેલાવે તથા ખોટી સુચનાઓને રોકવા માટે આવો નિર્ણય કરવામાં આવ્યો છે. તો આ બાજુ જિલ્લા અધિકારીએ આદેશ જાહેર કરતા કહ્યું હતું કે 9 ઓગસ્ટ એટલે કે બુધવારના રોજ કરફ્યુમાં સવારે નવ વાગ્યાથી  બપોરના 1 વાગ્યા સુધી રાહત આપવામાં આવશે. 

મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ તેમજ SMS અને દરેક ડોંગલ સેવાઓ વગેરે બંધ

નૂંહમાં સાંમ્પ્રદાયિક તણાવને જોતા હાલમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાના સમયને 11 ઓગસ્ટ રાતની 12 વાગ્યા સુધી વધારવામાં આવ્યો છે. મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ દરેક પ્રકારના SMS અને દરેક ડોંગલ સેવાઓ વગેરે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

ધીરે -ધીરે સ્થિતિ સામાન્ય થઈ રહી છે

આ સાથે મળતા સમાચાર પ્રમાણે જીલ્લામાં ધીરે -ધીરે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. પ્રશાસન તરફથી ધીરે-ધીરે કરફ્યુમાં રાહત આપવાના સમયમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. કરફ્યુમાં આપવામાં આવતી રાહત દરમ્યાન જીલ્લામાં સોમવારના સવારે 10 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી બેંક તેમજ ATM પણ ખોલવામાં આવ્યા હતા. તો જીલ્લામાં મંગળવારથી હરિયાણા રાજ્ય પરિવહન ડેપોની બસ સેવા પણ શરુ કરવામાં આવશે.

Share: