નૂંહમાં 8 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લંબાવાયો, કર્ફ્યૂમાં મળી 3 કલાકની છૂટ

નૂંહમાં 8 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લંબાવાયો, કર્ફ્યૂમાં મળી 3 કલાકની છૂટ

હરિયાણાના નૂંહમાં ગત સોમવાર એટલે 31 જુલાઈએ થયેલી હિંસક અથડામણને લઈને મોબાઈલ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ 8 ઓગસ્ટ સુધી વધારી દેવાયો છે. હાલની માહિતી અનુસાર, હરિયાણાના નૂંહ જિલ્લામાં વૉયસ કૉલ છોડીને મોબાઈલ નેટવર્ક પર અપાતી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ, બલ્ક મેસેજ અને તમામ ડોંગલ સેવાઓ સહિતની સેવાઓ પર પ્રતિબંધ 8 ઓગસ્ટ 2023 સુધી લંબાવી દીધો છે. 

કાલે ચાર કલાક રહેશે કર્ફ્યૂમાં ઢીલ

નૂંહ જિલ્લા મેજિસ્ટ્રેટે આદેશ જાહેર કરીને કહ્યું કે, સોમવાર સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી જનતાની અવરજવર માટે નૂંહમાં કર્ફ્યૂ હટાવી દેવાશે. તેનાથી લોકો પોતાની જરૂરિયાતનો સામાન ખરીદી શકશે.

AAP લીડર જાવેદ અહેમદ મુખ્ય આરોપી

હરિયાણાના નૂંહ-મેવાતમાં હિંસા દરમિયાન થયેલી બજરંગ દળના નેતા પ્રદીશ શર્માના મોત મામલે AAP નેતા જાવેદ અહેમદ સકંજામાં આવતા નજરે પડી રહ્યા છે. પોલીસે હત્યાના આ મામલે હરિયાણા AAP માઈનોરિટી સેલ અધ્યક્ષ જાવેદ અહેમદને મુખ્ય આરોપી બનાવ્યા છે. એટલું જ નહીં તેની પૂછપરછ પણ થઈ ચૂકી છે. જોકે, AAP નેતાએ ખુદ પર લગાવેલા આરોપોને ખોટા ગણાવ્યા છે.

જાવેદ અહેમદના પક્ષમાં આવી AAP

આપ નેતા જાવેદ અહેમદ પર ખોટો કેસ દાખલ કરવાનો આરોપ લગાવતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભા સભ્ય ડૉ. સુશીલ ગુપ્તાએ કહ્યું કે, ભાજપ મણિપુરની જેમ હરિયાણાને પણ હિંસાની આગમાં ધકેલવા માંગે છે. ભાજપનો મતલબ ભારત જલાઓ પાર્ટી છે. રાજ્ય સરકાર નૂંહમાં હિંસામાં પોતાની ખામીઓ છૂપાવીને નિર્દોષ લોકોને ફસાવીને તેની છાપ ખરાબ કરવા માંગે છે.

કોંગ્રેસ ધારાસભ્ય વિરૂદ્ધ પણ કાર્યવાહીની માંગ

કોંગ્રેસ નેતા મામન ખાનનું નામ પણ નૂંહ હિંસામાં સામે આવી રહ્યું છે. ત્યારબાદ ગુરુગ્રામ મહાપંચાયતમાં સરપંચ એસોસિએશને બંને વિરૂદ્ધ મોરચો ખલ્યો છે. એકત્રિત થયેલા લોકોએ કોંગ્રેસ ધારાસભ્ય મામન ખાનની વિધાનસભા સદસ્યતા રદ્દ કરવાની માંગ કરી છે. 45 ગામના સરપંચોએ હરિયાણા વિધાનસભા અધ્યક્ષને સૂચી મોકલી છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતાની સુરક્ષા હટાવાઈ

હરિયાણાના નૂંહ હિંસા બાદ હરિયાણા સરકારે ફિરોજપુર ઝિરકા બેઠક પરના કોંગ્રેસ ધારાસભ્ય મામન ખાનની સુરક્ષા પરત ખેંચી લીધી છે. વાસ્તવમાં નૂંહમાં થયેલી હિંસામાં મામન ખાનનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. મામન ખાને વિધાનસભઆમાં કાયદો વ્યવસ્થા પર બોલવા ઉપરાંત મોનુ માનેસરને મેવાત આવવાનો પડકાર આપતા વાંધાજનક નિવેદન આપ્યું હતું. ઉપરાંત ઘણા સંગઠનોએ પણ મામન ખાન પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.

મામન ખાને કહ્યું, મારા જીવને ખતરો

બીજીતરફ મામન ખાને સુરક્ષા હટાવવા પર પોતાની જીવને ખતરો હોવાનું કહ્યું છે. ધારાસભ્ય મામન ખાને આ મામલે ડીજીપી, સીઆઈડી ચીફ અને ગુરુગ્રામ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. ધારાસભ્યોએ કહ્યું કે, તેમને સતત ધમકીઓ મળી રહી છે, તેથી સુરક્ષા ફરી આપવામાં આવે.

‘જો તે મેવાતમાં આવ્યો તો ડુંગળીની જેમ ફોડી નાખીશું’

ઉલ્લેખનિય છે કે, 31 જુલાઈના રોજ નૂંહમાં થયેલી હિંસા બાદ કોંગ્રેસના ધારાસભ્ય મામન ખાન પર આંગણી ચિંધાઈ રહી છે. ઉપરાંત હિંસા માટે તેમને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. મામન ખાને વિધાનસભામાં મોનુ માનેસર અંગે કહ્યું હતું કે, જો તે મેવાતમાં આવ્યો તો તે ડુંગળીની જેમ ફોડી નાખીશું. આ ઉપરાંત તેમણે રાજ્યની કાયદો વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. મામન ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે અને એક પક્ષ ધારાસભ્ય મામન ખાનને હિંસા માટે જવાબદાર ઠેરવી રહ્યો છે.

Share: