'4 ઓગસ્ટએ કોઈ મસ્જિદમાં નમાઝ નહીં થાય', ગુરુગ્રામમાં મુસ્લિમ ઈમામ સંગઠનનું એલાન

'4 ઓગસ્ટએ કોઈ મસ્જિદમાં નમાઝ નહીં થાય', ગુરુગ્રામમાં મુસ્લિમ ઈમામ સંગઠનનું એલાન
Image – IANS

નૂહ, તા.03 ઓગસ્ટ-2023, ગુરુવાર

હરિયાણામાં હિંસા ભડક્યા બાદ પોલીસ હાઈએલર્ટ પર છે. શહેરના તમામ સ્થળો પર સુરક્ષા દળોની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. તમામ સંવેદનશીલ સ્થળો પર બાજ નજર રખાઈ રહી છે. હિંસા ફરી ન ભડકે તે માટે સોશિયલ મીડિયા પર પણ નજર રખાઈ રહી છે, ત્યારે ગુરુગ્રામ મુસ્લિમ ઈમામ સંગઠને મોટો નિર્ણય કર્યો છે.

ઈમામ સંગઠનના વડાએ શાંતિ જાળવવા કરી અપીલ

ઈમામ સંગઠનના વડાએ આજે જણાવ્યું કે, ગુરુગ્રામમાં ચોથી ઓગસ્ટે શુક્રવારે ખુલ્લામાં નમાઝ અદા કરવામાં ન આવે અને કોઈ મસ્જિદે પણ નહીં જાય… તમામ લોકો ઘરમાં નમાઝ અદા કરશે. કોઈપણ પ્રકારનું વાતાવરણ ડહોળાય નહીં તેમજ હરિયાણા અને શહેરમાં શાંતિ જાળવી રાખે… વહિવટીતંત્ર આપણને સંપૂર્ણ સહકાર આપી રહ્યો છે. મારી તમામ લોકોને વિનંતી છે કે, શાંતિ જાળવી રાખો અને શુક્રવારે ઘરેથી જ નમાઝ અદા કરો…

હરિયાણાના નૂહમાં કેમ ભડકી હિંસા ?

હરિયાણાના નૂહમાં સોમવારે બપોરે જિલ્લામાંથી પસાર થઈ રહેલી શોભાયાત્રા પર હુમલા બાદ બે જૂથો વચ્ચે હિંસા થઈ હતી. આ હિંસા સમગ્ર દક્ષિણ હરિયાણામાં ફેલાઈ ગઈ હતી જેમાં બે હોમગાર્ડ સહિત 6 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત લગભગ 20 પોલીસકર્મીઓ સહિત ડઝનેક લોકો હિંસાની ઝપેટમાં આવી ગયા હતા. હરિયાણાના નૂહ, ફરીદાબાદ અને પલવલ જિલ્લાઓ અને ગુરુગ્રામના ત્રણ પેટા વિભાગોમાં સ્થિતિ ગંભીર અને તંગ બની છે.

SITની રચના, 5 ઓગસ્ટ સુધી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ

સાંપ્રદાયિક હિંસાની તપાસ માટે વિશેષ SITની રચના કરવામાં આવી છે. આ સાથે જ મુખ્ય પ્રધાન મનોહરલાલે હિંસામાં થયેલા નુકસાનને માત્ર બદમાશો પાસેથી વસૂલવાની જાહેરાત કરી હતી. સરકારે શાંતિ અને જાહેર વ્યવસ્થા જાળવવા માટે પલવલ જિલ્લાના અધિકારક્ષેત્રમાં અને ગુરુગ્રામ જિલ્લાના સોહના, પટૌડી અને માનેસર પેટા વિભાગોના પ્રાદેશિક અધિકારક્ષેત્રમાં 5 ઓગસ્ટ સુધી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી હતી. હરિયાણાના ગૃહ સચિવ દ્વારા પસાર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર અને તણાવપૂર્ણ છે.

અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા કડક સૂચના 

તરવડી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સજ્જન સિંહે પોલીસ ટીમ સાથે ઘણી વખત આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ સાથે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવામાં આવી છે. બીજી તરફ તરવાડી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સજ્જન સિંહે સામાન્ય લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. ગેરમાર્ગે દોરતા વીડિયો અને ફોટાઓ પ્રસારિત કરશો નહીં. આવી સામગ્રી પર વિશ્વાસ કરશો નહીં. તરવડી પોલીસ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.

Share: