મહારાષ્ટ્રના રાજકીય ઘટનાક્રમ અંગે નીતિન ગડકરીએ કરી એવી ટિપ્પણી કે શ્રોતાઓ ખડખડાટ હસી પડ્યાં

મહારાષ્ટ્રના રાજકીય ઘટનાક્રમ અંગે નીતિન ગડકરીએ કરી એવી ટિપ્પણી કે શ્રોતાઓ ખડખડાટ હસી પડ્યાં

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે મોટી વાત કહી. તેમણે કહ્યું હતું કે ” જેઓ મંત્રી બનવાની ઈચ્છા ધરાવતા હતા તેઓ હવે નાખુશ છે કારણ કે મેદાનમાં હવે ભીડ થઈ ગઈ છે, હવે તેમને એ નથી સમજાતું કે તેમણે સિવડાવી રાખેલા નવા સૂટનું શું કરવું?  નાગપુર વિદ્યાપીઠ શિક્ષણ મંચ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા ભાજપના વરિષ્ઠ નેતાએ ભૂટાનના વડાપ્રધાન દ્વારા પ્રસ્તાવિત “ડોમેસ્ટિક હેપ્પી હ્યુમન ઈન્ડેક્સ” ના કોન્સેપ્ટનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે મોટાભાગના લોકો ક્યારેય ખુશ નથી થતા.

ગડકરીએ મજાકમાં કહી મોટી વાત 

માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી ગડકરીએ કહ્યું કે, જો કોઈ વ્યક્તિ સ્વીકારે છે કે મને મારી લાયકાત કરતા વધારે મળ્યું છે તો તે વ્યક્તિ ખુશ અને સંતુષ્ટ થઈ શકે છે. નહીં તો કોર્પોરેટરો નાખુશ છે કેમ કે તે ધારાસભ્ય ન બની શક્યા, ધારાસભ્યો નાખુશ છે કેમ કે તે મંત્રી ન બની શક્યા અને મંત્રીઓ એટલા માટે અસંતુષ્ટ છે કેમ કે તેમને સારું મંત્રાલય ન મળ્યું. તેમણે આગળ કહ્યું કે હવે જે (મંત્રી) બનવાના હતા તેઓ એવું વિચારીને નાખુશ છે કે તેમનો વારો પણ આવશે ખરો?  એટલી ભીડ થઈ ગઈ છે કે ન પૂછો વાત. આ સાંભળીને ત્યાં હાજર તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા અને તાળીઓનો ગડગડાટ ગૂંજી ઊઠ્યો હતો. 

શપથ લેવા માટે તૈયાર કરેલા શૂટ થઈ ગયા નકામા… 

તેમણે હળવા અંદાજમાં આગળ કહ્યું, “ઘણાં લોકો શપથ ગ્રહણ સમારોહ માટે નવા સિવડાવેલા સૂટ સાથે તૈયાર હતા.  હવે પ્રશ્ન એ છે કે તે સૂટનું શું કરવું, કારણ કે હવે ઉમેદવારોની સંખ્યા વધી ગઈ છે.” ગડકરીએ  કહ્યું, જે હોલમાં કાર્યક્રમ યોજાયો હતો તેની ક્ષમતા 2200 હતી અને તેમાં ઘણા બધા લોકો બેસી શકે છે, પરંતુ મંત્રાલયનું કદ વધારી શકાતું નથી.

NCPના આવવાથી શિંદે જૂથ અને ભાજપમાં બેચેની

ખરેખર તો અજિત પવારની આગેવાની હેઠળનો NCP જૂથ 2 જુલાઈના રોજ મહારાષ્ટ્ર સરકારમાં જોડાયો હતો. ત્યારથી વિપક્ષી નેતાઓ દાવો કરી રહ્યા છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના ધારાસભ્યો અને તેના સહયોગી ભાજપમાં અસંતોષ વધી રહ્યો છે, કારણ કે તેમની મંત્રીપદની મહત્વાકાંક્ષાઓ નિષ્ફળ ગઈ છે.

Share: