તમિલનાડુના ગવર્નર એક્શનમાં! જેલમાં બંધ આ મંત્રીને કર્યા બરખાસ્ત, EDએ કરી હતી ધરપકડ

તમિલનાડુના ગવર્નર એક્શનમાં! જેલમાં બંધ આ મંત્રીને કર્યા બરખાસ્ત, EDએ કરી હતી ધરપકડ

તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિએ આજે જેલમાં બંધ વી. સેંથિલ બાલાજીને મંત્રી પરિષદમાંથી તાત્કાલિક અસરથી કાઢી મૂક્યા છે. તમિલનાડુ રાજભવને એક નિવેદન જારી કરીને કહ્યું કે, મંત્રી વી સેંથિલ બાલાજી મની લોન્ડરિંગ સહિત ભ્રષ્ટાચારના અનેક કેસોમાં ગંભીર ફોજદારી કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. આ સંજોગોમાં રાજ્યપાલે તેમને તાત્કાલિક અસરથી મંત્રી પરિષદમાંથી બરતરફ કરી દીધા છે.

મંત્રી તરીકેના તેમના પદનો દુરુપયોગ કરી રહ્યા છે 

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મંત્રી થિરુ વી. સેંથિલ બાલાજી મંત્રી તરીકેના તેમના પદનો દુરુપયોગ કરીને, તપાસને પ્રભાવિત કરી રહ્યા છે અને કાયદા અને ન્યાયની યોગ્ય પ્રક્રિયામાં અવરોધ ઉભો કરી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસ કરવામાં આવતા ફોજદારી કેસમાં તે હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા હેઠળ કેટલાક વધુ ફોજદારી કેસોની રાજ્ય પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

બાલાજીએ તપાસમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી

સુપ્રીમ કોર્ટે પોલીસ અને EDને બાલાજી સામે કથિત રોકડ-કૌભાંડની તપાસ કરવાની મંજૂરી આપી હતી. ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ દરોડા પાડ્યા છે. બાલાજી રાજ્યના આબકારી વિભાગને પણ સંભાળે છે. ગત મહિને આવકવેરા વિભાગે બાલાજીના સહયોગીઓના ઘર પર પણ દરોડા પાડ્યા હતા. બાલાજીએ કહ્યું કે તેઓ જાણતા નથી કે અધિકારીઓ તેમના પરિસરમાં શું શોધી રહ્યા છે. તેમણે તપાસમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. બાલાજી અગાઉ AIADMKમાં હતા અને સ્વર્ગસ્થ જયલલિતાની સરકારમાં પરિવહન મંત્રી તરીકે સેવા આપી હતી.

Share: