Cyclone Biparjoy : કાલથી આ 3 રાજ્યોમાં હવામાન તોફાની બનવાની આગાહી, IMDએ સૂચવ્યા વાવાઝોડાથી બચવાના ઉપાય

Cyclone Biparjoy : કાલથી આ 3 રાજ્યોમાં હવામાન તોફાની બનવાની આગાહી, IMDએ સૂચવ્યા વાવાઝોડાથી બચવાના ઉપાય

અમદાવાદ, તા.11 જૂન-2023, રવિવાર

ગુજરાતના અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય નામના ચક્રવાતને લઈને હવામાન વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે કે વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આગામી બે દિવસ સુધી આ દિશામાં જ આગળ વધતું રહેશે તેવી શક્યતા છે. 12 જૂન સુધી ગોવા, કર્ણાટક, કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન તોફાની થવાની શક્યતા છે, સાથે જ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે પવન વરસાદની આગાહી કરી છે.

બિપરજોય વાવાઝોડાની આગાહીને પગલે કેવી તકેદારી રાખવી ??

ભારતીય હવામાન વિભાગની આગાહી  મુજબ આવનાર સંભવિત બિપરજોય વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લેતા લોકોનાં જાનમાલની સલામતી અને સુરક્ષા માટે વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન, અને વાવાઝોડા બાદ તકેદારી અને જાગૃત્તિ કેળવવાથી સુરક્ષિત રહી શકાય છે તેમજ  નુકસાન થતું અટકાવી શકાય તે માટે કેટલીક તૈયારીઓ કરવી આવશ્યક છે.

વાવાઝોડા પહેલાની તૈયારી 

  • રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો. 
  • સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો. રેડીયો સેટને ચાલું હાલતમાં રાખો. 
  • સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો. ઢોર-ઢાંખરને સલામત સ્થળે રાખો.  
  • માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી. અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું. 
  • આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાનમાં રાખો. સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો. 
  • અગત્ય ટેલીફોન નંબર હાથવગા રાખો. 

વાવાઝોડા દરમિયાન રાખવાની તકેદારી 

  •  પાણીના સ્ત્રોતથી દુર રહેવું, જર્જરીત કે વૃક્ષ કે નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી. રેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો. 
  • બહાર નીકળવાનું સાહસ કરવું નહીં. રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી. વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા. 
  • દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં. વીજળીના થાંભલાથી દૂર રહેવું. 
  • માછીમારોએ હોડીઓ સલામત સ્થળે રાખવી. અગરિયાઓએ અગરો છોડી સલામત સ્થળે આશરો લેવો. 
  • ખોટી અથવા અધૂરી જાણકારી વાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો.

વાવાઝોડા બાદ કરવાની કાર્યવાહી 

  • બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ મ્યુનિસિપાલિટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી. 
  • અસરગ્રસ્તોની મદદ કરવી, બચાવ કરવો, સલામત સ્થળે લઈ જવા. જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા કરવી. 
  • ભારત સરકારશ્રીનાં હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓ અને અનુસરવું તથા સતત સંપર્કમાં રહેવું. 
  • અસરગ્રસ્તોને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવી.
Share: