રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુરીનામના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત, બંને દેશોએ MOU પર હસ્તાક્ષર કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુરીનામના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત, બંને દેશોએ MOU પર હસ્તાક્ષર કર્યા
Image : twitter

સુરીનામ પ્રવાસે ગયેલા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી દ્વારા સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઈન ઓફ ધ યલો સ્ટાર’થી નવાજવામાં આવ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. 

આ સન્માન ભારત-સૂરીનામી સમુદાયની પેઢીઓને સમર્પિત : રાષ્ટ્રપતિ

ભારના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે આ સન્માન ભારતના 140 કરોડથી વધુ લોકો માટે પણ ખૂબ મહત્વ ધરાવે છે જેમનું હું પ્રતિનિધિત્વ કરું છું. હું આ સન્માન ભારત-સૂરીનામી સમુદાયની પેઢીઓને પણ સમર્પિત કરું છું જેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને સમૃદ્ધ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભારત અને સુરીનામે ગઈકાલે આરોગ્ય અને કૃષિ સહિત ક્ષમતા નિર્માણના ક્ષેત્રમાં ત્રણ મોટા એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ અગાઉ રાષ્ટ્રપતિ મુર્મુ અને તેમના સુરીનામ સમકક્ષ ચંદ્રિકા પ્રસાદ સંતોખી વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક પણ થઈ હતી.

ભારતીયોના આગમનની 150મી વર્ષગાંઠ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુરીનામ પ્રવાસ પર છે. સુરીનામાં ભારતીયોના આગમનની 150મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિએ પોતાના નિવેદનમાં કહ્યું કે ભારતની જેમ સુરીનામમાં પણ અનેક જાતિ, ભાષા અને ધર્મના લોકો રહે છે. તેમણે કહ્યું કે ભારત અને સુરીનામ વચ્ચે મિત્રતાનો પાયો મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોના આધાર પર બાંધવામાં આવ્યો હતો.

ચંદ્રિકા પ્રસાદ સંતોખીને દવાઓ સોંપી

રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવાની જરૂર છે. તેમણે કહ્યું કે સંરક્ષણ અને કૃષિ સહિત અનેક ઉદ્યોગોએ એકબીજાને સહકાર આપવો પડશે. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના સુરીનામ સમકક્ષ ચંદ્રિકા પ્રસાદ સંતોખીને ભારતમાંથી દવાઓ સોંપી હતી. ભારતમાંથી સુરીનામની છેલ્લી રાષ્ટ્રપતિની મુલાકાત વર્ષ 2018માં થઈ હતી.

Share: