VIDEO : નરેશ ટિકૈતે કુસ્તીબાજોને ગંગામાં મેડલ વહાવવાથી રોક્યા, સરકારને આપ્યું 5 દિવસનું અલ્ટીમેટમ

VIDEO : નરેશ ટિકૈતે કુસ્તીબાજોને ગંગામાં મેડલ વહાવવાથી રોક્યા, સરકારને આપ્યું 5 દિવસનું અલ્ટીમેટમ

નવી દિલ્હી, તા.30 મે-2023, મંગળવાર

ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ અને ભાજપ નેતા બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ધરણા કરી રહેલા કુસ્તીબાજો દ્વારા મંગળવારે આજે મેડલ ગંગામાં નદીમાં વહેવડાવવાની જાહેરાત કરાયા બાદ હરિદ્વારમાં ખુબ જ ગરમા-ગરમીનો માહોલ જોવા મળ્યો. કુસ્તીબાજો દ્વારા બપોરે જાહેર કરવામાં આવી હતી કે, તેઓ હરિદ્વાર પહોંચીને સાંજે પોતાના મેડલો ગંગા નદીમાં વહાવશે. આ દરમિયાન કુસ્તીબાજો હરિદ્વારના હર કી પૌડી પણ પહોંચી ગયા હતા. જોકે તેઓ પોતાના મેડલો ગંગામાં વહેવડાવે તે પહેલા ખેડૂત નેતા નરેશ ટિકૈત ત્યાં પહોંચી ગયા હતા અને કુસ્તીબાજોને આમ કરવાથી રોકી લીધા હતા. નરેશ ટિકૈતે કુસ્તીબાજોને સમજાવ્યા બાદ મેડલો પોતાની પાસે લઈ લીધા અને સરકારને 5 દિવસનું અલ્ટીમેટમ આપ્યું… દરમિયાન હાલ કુસ્તીબાજોએ હરિદ્વારથી પરત ફરવાનું શરૂ કરી દીધું છે. આ કુસ્તીબાજો 23 એપ્રિલથી ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહ્યા છે. 

નરેશ ટિકૈતે કુસ્તીબાજોને સમજાવ્યા

દરમિયાન વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિત દેશના મહત્વના કુસ્તીબાજો આજે ગંગા નદીમાં પોતાના મેડલ વહેવડાવવા હરિદ્વાર પહોંચ્યા હતા. જોકે આ મામલે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બાલિયાન ખાપના વડા ચૌધરી નરેશ ટિકૈત સહિતના વડાઓએ હસ્તક્ષેપ કરતા કુસ્તીબાજો માની ગયા છે. 

કુસ્તીબાજોએ પોતાના મેડલ ગંગામાં વહેડાવવાની કરી હતી જાહેરાત

આ અગાઉ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ સોમવારે સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, તેઓ તેમના મેડલ ગંગામાં વહાવવાના છે. ઉપરાંત તેમણે ઈન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસનું પણ એલાન કર્યું છે. આ કુસ્તીબાજોનું કહેવું છે કે, મેડલ ગંગામાં વહેવડાવ્યા બાદ અમારા જીવવાનો કોઈ અર્થ રહેશે નહીં અને તેઓ ઈન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસ કરશે. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બાલિયાન ખાપના વડા ચૌધરી નરેશ ટિકૈત અન્ય ખાપના વડાઓ સાથે કુસ્તીબાજોને મળવા હરિદ્વાર પહોંચી પહોંચ્યા હતા. નરેશ ટિકૈતે કુસ્તીબાજોને મનાવી લીધા છે. તમામ લોકોનું પણ માનવું છે કે, ગંગા નદીમાં મેડલ વહાવવાની બાબત યોગ્ય નથી અને આમ કરવાથી કુસ્તીબાજોને બચાવવા જોઈએ. આ વિનંતીને સાથે નરેશ ટિકૈત સહિતના ખાપના વડાઓ તમામ કુસ્તીબાજોને મળવા હરિદ્વાર પહોંચી ગયા હતા અને કુસ્તીબાજોને મનાવ્યા છે. દરમિયાન ગંગા સભાએ જાહેરાત કરી હતીકે, કુસ્તીબાજોને હરિદ્વારમાં પોતાના મેડલ વહેડાવવા નહીં દઈએ. 

હરિદ્વાર પહોંચેલા કુસ્તીબાજોનો વીડિયો

દિલ્હીના જંતર-મંતર ખાતે થયેલા દુર્વ્યવહાર બાદ આઘાત પામેલા તમામ કુસ્તીબાજોનો હરિદ્વાર પહોંચ્યા પછીનો વીડિયો જોઈ શકીએ છીએ.

મેડલ દેશ અને તિરંગાની શાન છે : રાકેશ ટિકૈત

આ અગાઉ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આ મેડલો દેશ અને તિરંગાની શાન છે. અમે તમામ કુસ્તીબાજોને વિનંતી કરી રહ્યા છે કે, આવું પગલું ન ભરો. તમે તમારી રમત દ્વારા દેશને ગૌરવ અપાવ્યું છે. અમે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને વિનંતી કરીએ છીએ કે તેઓ મામલાને ધ્યાને લે અને જલદી કુસ્તીબાજો સાથે વાતચીત કરે.

Share: