મંદિરમાં દર્શન, 31માંથી 19 જિલ્લામાં 18 રેલી, 6 રોડ શો, છતાં કર્ણાટકના પરિણામોમાં મોદી લહેર ન ચાલી

મંદિરમાં દર્શન, 31માંથી 19 જિલ્લામાં 18 રેલી, 6 રોડ શો, છતાં કર્ણાટકના પરિણામોમાં મોદી લહેર ન ચાલી

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભવ્ય જીત મેળવી છે. એક તરફ કોંગ્રેસ છાવણીમાં ઉજવણીનો માહોલ છે તો બીજી તરફ ભાજપ માટે આત્મનિરીક્ષણનો સમય આવી ગયો છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના આ પરિણામો મોદી સરકાર અને ભાજપ માટે ખતરાની ઘંટડી બની શકે છે કેમ કે આગામી વર્ષે એટલે કે  2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. કર્ણાટકની ચૂંટણી જીતવા માટે પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિત તમામ સ્ટાર પ્રચારકોના કાફલાએ સંપૂર્ણ તાકાત લગાવી દીધી છતાં તે સત્તા બચાવી ના શક્યા.

વડાપ્રધાન મોદીએ ચૂંટણી પ્રચારમાં કોઈ કસર છોડી ન હતી

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023માં પોતાની જીત નોંધાવવા અને સત્તામાં રહેવા માટે આ પાર્ટીએ તમામ પ્રયાસો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ ચૂંટણી પ્રચારમાં કોઈ કસર છોડી ન હતી. પરંતુ પરિણામ આવ્યા બાદ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પીએમ મોદીનો આ પ્રયાસ કર્ણાટકમાં રંગ લાવી શક્યો નથી.

મોદીએ રાજ્યના 31માંથી 19 જિલ્લામાં રેલીઓ અને રોડ શો કર્યા

BJP વતી ચૂંટણી પ્રચાર દરમિયાન સૌથી વધુ સક્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળ્યા હતા. તેમણે 29 એપ્રિલથી 7 મે વચ્ચે 7 દિવસ પ્રચાર કર્યો હતો. પીએમએ રાજ્યના 31માંથી 19 જિલ્લામાં રેલીઓ અને રોડ શો કર્યા હતા. કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ 18 રેલી અને 6 રોડ શો કર્યા હતા. તેમણે રોડ શો દ્વારા 28 વિધાનસભા બેઠકો કવર કરી હતી. પીએમએ મૈસૂરના શ્રીકાંતેશ્વર મંદિરની મુલાકાત લીધા પછી તેમના ચૂંટણી પ્રચારનું સમાપન કર્યું હતું.

અમિત શાહે 16 રેલી અને 20 રોડ શો કર્યા

બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહની વાત કરીએ તો તેમણે પણ 21મી એપ્રિલથી 7મી મે વચ્ચે 9 દિવસ કર્ણાટકમાં પ્રચાર કર્યો હતો. શાહે રાજ્યના 31 માંથી 19 જિલ્લામાં રેલીઓ અને રોડ શો કર્યા હતા, જેમાં 16 રેલી અને 20 રોડ શોનો સમાવેશ થાય છે.

ભાજપના 40 મોટા નેતાઓના નામ સ્ટાર પ્રચારકોમાં સામેલ હતા

આ સિવાય બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સહિત ભાજપના 40 મોટા નેતાઓ ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે.

Share: