શિંદે-ફડણવીસમાં નૈતિકતા હોય તો મારી જેમ રાજીનામું આપે, સુપ્રીમકોર્ટના ચુકાદા પર ઉદ્ધવની પ્રતિક્રિયા

શિંદે-ફડણવીસમાં નૈતિકતા હોય તો મારી જેમ રાજીનામું આપે, સુપ્રીમકોર્ટના ચુકાદા પર ઉદ્ધવની પ્રતિક્રિયા

image : Twitter

સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરેને એમ કહીને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો કે તેમણે  ફ્લોર ટેસ્ટનો સામનો કર્યો નથી. મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું ન આપ્યું હોત તો તેમને કોર્ટમાંથી રાહત મળી શકી હોત.

પાંચ જજોની બેન્ચે શું કહ્યું… 

CJIની આગેવાની હેઠળની પાંચ જજની બેન્ચે કહ્યું કે રાજ્યમાં શિંદે સરકાર જળવાઈ રહેશે. કોર્ટે કહ્યું કે જો ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું ન આપ્યું હોત તો અમે રાહત આપી શક્યા હોત. 16 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાના મામલામાં કોર્ટે કહ્યું કે આ મામલે નિર્ણય સ્પીકરે લેવો જોઈએ. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી.

ઉદ્ધવ ઠાકરેએ આ મામલે શું કહ્યું… 

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ પ્રસંગે કહ્યું કે આ દેશમાં લોકશાહીની રક્ષા કરવી એ અમારું કામ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો મેં રાજીનામું ન આપ્યું હોત તો કદાચ હું ફરીથી મુખ્યમંત્રી બની શક્યો હોત. હું મારા માટે નથી લડી રહ્યો, મારી લડાઈ લોકો માટે, દેશ માટે છે. રાજકારણમાં મતભેદો હોય છે પણ અમારો એક અભિપ્રાય છે કે આ દેશને બચાવવાનો છે. ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું કે જો આ મુખ્યમંત્રી (શિંદે) અને નાયબ મુખ્ય પ્રધાન (દેવેન્દ્ર ફડણવીસ) પાસે નૈતિકતા હોય તો તેઓએ રાજીનામું આપવું જોઈએ જેમ મેં રાજીનામું આપ્યું હતું.

સુપ્રીમકોર્ટે કહ્યું કે શિંદે જૂથનો વ્હીપ ગેરકાયદેસર છે – સંજય રાઉત

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે સ્પીકરે રાજકીય પક્ષ દ્વારા નિયુક્ત કરાયેલા વ્હિપને જ માન્યતા આપવી જોઈએ. તે જ સમયે, સુપ્રીમ કોર્ટ એવું  પણ કહે છે કે શિવસેના પાર્ટીના ચીફ વ્હિપ તરીકે ગોગાવાલે (શિંદે જૂથ)ની નિમણૂક કરવાનો સ્પીકરનો નિર્ણય ગેરકાયદેસર હતો. તેના પર ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે કહ્યું કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે શિંદે જૂથનો વ્હિપ ગેરકાયદેસર છે, તેનો અર્થ એ થયો કે તેમનો વ્હીપ ગેરકાયદે છે અને અમારા વ્હિપ દ્વારા આપવામાં આવેલ આદેશ કાયદેસર છે, તેથી તે વ્હિપ મુજબ દરેક (શિંદે જૂથ) સભ્યપદ મેળવશે. 

Share: