2020માં પાઈલટે બળવો કર્યો ત્યારે વસુંધરા રાજેએ મારી સરકાર બચાવી હતી, ગેહલોતનો મોટો દાવો

2020માં પાઈલટે બળવો કર્યો ત્યારે વસુંધરા રાજેએ મારી સરકાર બચાવી હતી, ગેહલોતનો મોટો દાવો

image : Twitter

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રવિવારે દાવો કર્યો હતો કે વસુંધરા રાજે અને અન્ય બે બીજેપી નેતાઓએ સચિન પાઈલટના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના જ ધારાસભ્યો દ્વારા 2020ના બળવા દરમિયાન તેમની સરકારને બચાવવામાં મદદ કરી હતી. તેમણે બળવાખોર કોંગ્રેસના ધારાસભ્યો પર પણ પ્રહારો કર્યા અને કહ્યું કે તેઓએ ભાજપ પાસેથી લીધેલા પૈસા પરત કરવા જોઈએ જેથી તેઓ કોઈપણ દબાણ વિના તેમની ફરજ બજાવી શકે.

સચિન પાઈલટના નેતૃત્વમાં થયો હતો બળવો 

ઉલ્લેખનીય છે કે સચિન પાયલટ અને અન્ય 18 કોંગ્રેસ ધારાસભ્યોએ જુલાઈ 2020માં અશોક ગેહલોત વિરુદ્ધ બળવો કર્યો હતો. પાર્ટી હાઈકમાન્ડના હસ્તક્ષેપ બાદ એક મહિના બાદ સંકટનો અંત આવ્યો હતો. આ પછી પાઈલટને નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. ધોલપુરમાં એક કાર્યક્રમને સંબોધતા ગેહલોતે કહ્યું હતું કે તેમની સરકાર ભાજપના ત્રણ નેતાઓ – ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે, ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ કૈલાશ મેઘવાલ અને ધારાસભ્ય શોભરાણી કુશવાહાના સમર્થનથી ટકી શકે છે.

ગેહલોતે કર્યો મોટો દાવો 

તેમણે દાવો કર્યો હતો કે અમિત શાહ, ગજેન્દ્ર સિંહ શેખાવત અને ધર્મેન્દ્ર પ્રધાને સાથે મળીને મારી સરકારને પાડી દેવાનું કાવતરું ઘડ્યું હતું. તેઓએ રાજસ્થાનમાં પૈસાની વહેંચણી કરી હતી અને હવે તેઓ પૈસા પાછા લઈ રહ્યા નથી. મને આશ્ચર્ય થાય છે કે શા માટે તેઓ તેની પાસેથી પૈસા પાછા માંગતા નથી. તેમણે કહ્યું કે મેં ધારાસભ્યોને પણ કહી દીધું છે કે તેઓએ જે પણ પૈસા લીધા છે, 10 કરોડ રૂપિયા કે 20 કરોડ રૂપિયા, જો તેમાંથી થોડા ખર્ચાઈ ગયા હોય તો પણ હું ખર્ચ કરેલા પૈસા પાછા અપાવીશ અને એઆઈસીસી (ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી) તરફથી તે તેમને પાછળા મળી જશે. આ પૈસા તેમણે એ લોકોને પાછા આપી દેવા જોઈએ. 

ગેહલોતે લગાવ્યો આરોપ 

ગેહલોતે આરોપ લગાવ્યો કે જો ધારાસભ્યો પૈસા પરત નહીં કરે તો તેઓ હંમેશા અમિત શાહના દબાણમાં રહેશે. તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી છે, તેઓ ડરાવશે… મહારાષ્ટ્રમાં તેમણે શિવસેનામાં ભાગલા પાડ્યા. તેમણે કહ્યું કે પાર્ટી દ્વારા તેમને ત્રીજી વખત મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે અને આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી ફરી સત્તા પર આવે તે સુનિશ્ચિત કરવા માટે તમામને સાથે લઈને ભૂતકાળની ઘટનાઓને ભૂલી જવાની તેમની ફરજ છે.

આ જ રીતે ભૈરવ સિંહ શેખાવતની સરકાર બચાવી હતી 

ગેહલોતે કહ્યું કે જેમ તેમણે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ભૂતપૂર્વ ભૈરવ સિંહ શેખાવત સરકારને પાડી દેવાનું સમર્થન આપ્યું ન હતું કેમ કે  તે અન્યાયી હતું. તેવી જ રીતે 2020માં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ કૈલાશ મેઘવાલે કોંગ્રેસ સરકારને તોડી પાડવાનું સમર્થન કર્યું ન હતું.  તેમણે કહ્યું કે બીજેપી ધારાસભ્ય શોભરાણી કુશવાહાએ પણ તેમની વાત સાંભળી અને પાર્ટીને સમર્થન નહોતું આપ્યું.  

Share: