સરકારનું અગમચેતી પગલું, સુદાનથી પરત આવેલા 117 મુસાફરોને ક્વૉરન્ટાઈન કર્યા, આ છે કારણ

સરકારનું અગમચેતી પગલું, સુદાનથી પરત આવેલા  117 મુસાફરોને ક્વૉરન્ટાઈન કર્યા, આ છે કારણ

image : Twitter

સુદાનમાં ચાલી રહેલા ગૃહ યુદ્ધ દરમિયાન ભારતીય નાગરિકોને રેસ્ક્યૂ કરવા ભારત સરકાર દ્વારા ઓપરેશન કાવેરી ચલાવવામાં આવી રહ્યું છે. ઓપરેશન કાવેરી હેઠળ યુદ્ધ પ્રભાવિત સુદાનમાંથી ભારતીય મુસાફરોને પરત લાવવાની પ્રક્રિયા ચાલુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, અત્યાર સુધીમાં સુદાનથી સુરક્ષિત રીતે ભારત પહોંચેલા 1191 ભારતીયોમાંથી 117 એવા છે જેમને ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યા છે. સુદાનથી પરત ફરેલા આ 117 મુસાફરોએ યલો ફીવરની રસી લીધી ન હતી. આવી સ્થિતિમાં સરકારે સાવચેતીના પગલાં લઈ તેમને ક્વોરેન્ટાઈન કર્યા છે.

7 દિવસ રહેશે ક્વૉરન્ટાઈનમાં 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ તમામ લોકોને સાત દિવસ માટે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જો બધું બરાબર રહે અને તેમનામાં કોઈ લક્ષણો જોવા ન મળે તો તેમને મુક્ત કરવામાં આવશે. સરકાર દ્વારા ક્વોરેન્ટાઈન કરાયેલા મુસાફરો પાસેથી કોઈ ફી વસૂલવામાં આવશે નહીં. સુદાનમાં સેના અને અર્ધલશ્કરી જૂથ વચ્ચે સત્તા માટે ઉગ્ર સંઘર્ષ ચાલી રહ્યો છે. 

જુઓ રેસ્ક્યૂ ઓપરેશનમાં કયા કયા જહાજ અને વિમાનની મદદ લેવાઈ?  

જો કે, બંને પક્ષો 72 કલાકના યુદ્ધવિરામ માટે સંમત થયા પછી ભારતે ત્યાં ફસાયેલા તેના નાગરિકોને બહાર કાઢવાના પ્રયાસો ઝડપી બનાવ્યા હતા.  ઓપરેશન કાવેરીમાં ભારતીય નૌકાદળના ત્રણ જહાજો INS સુમેધા, INS તેગ અને INS તારકશનો સામેલ કરાયા છે. આ સિવાય એરફોર્સના બે C130J એરક્રાફ્ટ પણ આ અભિયાનમાં સામેલ છે.

દિલ્હી સહિત 3 જગ્યાએ કંટ્રોલ રૂમ

આ સાથે ભારતે સુદાનની સ્થિતિને લઈને દિલ્હીમાં ચોવીસ કલાક કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. તેમજ એક કંટ્રોલ રૂમ પોર્ટ સુદાનમાં અને બીજો સાઉદી અરેબિયાના જિદ્દાહમાં સ્થાપિત કરવામાં આવ્યો છે.

Share: