આગામી 15 દિવસમાં મહારાષ્ટ્રમાં શિંદે-ફડણવીસ સરકાર પડી ભાંગશે: સંજય રાઉતનો દાવો

આગામી 15 દિવસમાં મહારાષ્ટ્રમાં શિંદે-ફડણવીસ સરકાર પડી ભાંગશે: સંજય રાઉતનો દાવો

– આ સરકારનું ‘ડેથ વોરંટ’ જારી થઈ ચૂક્યુ છે: સંજય રાઉત

મુંબઈ, તા. 23 એપ્રિલ 2023, રવિવાર

ઉદ્ધવ ઠાકરે આજે જલગાંવ જિલ્લાના પચોરામાં જાહેરસભા કરશે. આ દરમિયાન ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે દાવો કર્યો છે કે, આગામી 15 દિવસમાં મહારાષ્ટ્રમાં શિંદે-ફડણવીસ સરકાર પડી ભાંગશે. રાઉતે કહ્યું કે, આ સરકારનું ‘ડેથ વોરંટ’ જારી થઈ ચૂક્યુ છે. રાઉતના આ દાવાએ ફરી એકવાર રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે.

આ દરમિયાન સંજય રાઉતે કહ્યું કે, દરેક વ્યક્તિ પોતપોતાનું ગણિત રજૂ કરે છે. પરંતુ અમે પરિણામની રાહ જોઈ રહ્યા છીએ. રાઉતે કહ્યું કે મુખ્યમંત્રી અને તેમના 40 લોકોનું વર્તમાન શાસન આગામી 15 થી 20 દિવસમાં પડી ભાંગશે. મેં એકવાર કહ્યું હતું કે ફેબ્રુઆરી સુધીમાં સરકાર પડી ભાંગશે. પરંતુ કોર્ટનો નિર્ણય મોડો આવી રહ્યો છે. પરંતુ આ સરકાર ટકવાની નથી, આ સરકારનું ‘ડેથ વોરંટ’ જારી થઈ ચૂક્યુ છે.

રાઉતનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવાર વિશે અટકળો ચાલી રહી છે. જો કે, તેમણે તેમના પક્ષમાંથી સ્પષ્ટતા આપી છે કે ,તેઓ NCPમાં જ રહેશે.

Share: