અતીક અને અશરફની હત્યા બાદ સમગ્ર ઉત્તરપ્રદેશમાં કલમ 144 લાગુ, પ્રયાગરાજમાં ઈન્ટરનેટ સેવા બંધ

અતીક અને અશરફની હત્યા બાદ સમગ્ર ઉત્તરપ્રદેશમાં કલમ 144 લાગુ, પ્રયાગરાજમાં ઈન્ટરનેટ સેવા બંધ

image : pixabay 

માફિયામાંથી રાજનેતા બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની લાઈવ કેમેરા સામે હત્યા કરવાની ઘટનાએ ચકચાર મચાવ્યો છે. આ દરમિયાન સીએમ યોગીએ તાબડતોડ ઈમરજન્સી બેઠક બોલાવ્યા બાદ અનેક કડક નિર્દેશો આપ્યા હતા. તેમાં સમગ્ર ઉત્તર પ્રદેશમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને તમામ પોલીસ સ્ટેશનોને પેટ્રોલિંગ વધારવા અને હાઈ એલર્ટ પર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસની તમામ રજાઓ રદ કરવામાં આવી છે. અનામત દળોના પોલીસકર્મીઓને પણ તૈનાતના આદેશ આપવામાં આવ્યા છે.

લાઈવ કેમેરા સામે હત્યા કરાઈ 

અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી . પોલીસ ટીમો અતીક અહેમદ અને તેના ભાઈને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જઈ રહી હતી. આ ઘટના મેડિકલ કોલેજ પાસે બની હતી. જે સમયે આ હુમલો થયો તે સમયે બંનેને તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. બંનેના મૃતદેહને મેડિકલ કોલેજની અંદર લઈ જવામાં આવ્યા છે. આ પ્રસંગે ધાર્મિક સૂત્રોચ્ચાર ચોક્કસપણે સાંભળવામાં આવ્યા છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.

પ્રયાગરાજમાં પણ હાઈએલર્ટ 

અતીક અને અશરફની હત્યા બાદ પ્રયાગરાજમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને 17 જેટલા પોલીસકર્મીઓને સસપેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ  સાથે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. આસપાસના જિલ્લાઓમાંથી પોલીસ ફોર્સ મોકલવામાં આવી છે. આ સાથે પીએસી અને આરએએફ લગાવવામાં આવી રહ્યા છે. ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. 

Share: