કર્ણાટકમાં ભાજપ મુશ્કેલીમાં! ટિકિટ ન મળતાં નારાજ પૂર્વ CM જગદીશ શેટ્ટારે રાજીનામાની કરી જાહેરાત

કર્ણાટકમાં ભાજપ મુશ્કેલીમાં! ટિકિટ ન મળતાં નારાજ પૂર્વ CM જગદીશ શેટ્ટારે રાજીનામાની કરી જાહેરાત

image : Twitter

વિધાનસભા ચૂંટણી લડવા માટે ટિકિટ ન મળવાથી નારાજ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે ભાજપ છોડવાની જાહેરાત કરી છે. લિંગાયત સમુદાય સાથે જોડાયેલા શેટ્ટારે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં પાર્ટી અને વિધાનસભા સભ્યપદમાંથી ઔપચારિક રીતે રાજીનામું આપી દેશે.

શેટ્ટાર પોતાની વાત પર અડગ

તેમણે કહ્યું કે મને જે રીતે અપમાનિત કરવામાં આવ્યું છે તેનાથી હું પરેશાન છું. મને લાગ્યું કે મારે પડકાર સ્વીકારવો જ પડશે. શેટ્ટારને મનાવવા કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ અને કેન્દ્રીયમંત્રી પ્રહલાદ જોશી અને ધર્મેન્દ્ર પ્રધાન શનિવારે રાત્રે જગદીશ શેટ્ટારને મળ્યા હતા પરંતુ શેટ્ટાર અડગ રહ્યા.

ભાજપને બળવાખોર સ્વરમાં ચેતવણી આપી 

નોંધનીય છે કે અગાઉ ઉગ્ર સ્વરમાં શેટ્ટારે ચેતવણી આપી હતી કે જો તેમને વિધાનસભા ચૂંટણી માટે હુબલી-ધારવાડ મતવિસ્તારમાંથી ટિકિટ આપવામાં નહીં આવે તો ભાજપ ઓછામાં ઓછી 20 થી 25 બેઠકો ગુમાવી શકે છે. ભાજપ હાઈકમાન્ડે શેટ્ટારને વિધાનસભા ચૂંટણી ન લડવા જણાવ્યું હતું. જો કે શેટ્ટારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ચોક્કસપણે ચૂંટણી લડશે.

હાલમાં શેટ્ટાર હુબલી-ધારવાડ મતવિસ્તારના વર્તમાન ધારાસભ્ય છે

શેટ્ટાર હુબલી-ધારવાડ મતવિસ્તારના વર્તમાન ધારાસભ્ય છે. ભાજપે હજુ સુધી હુબલી-ધારવાડ સેન્ટ્રલ સહિત 12 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. જગદીશ શેટ્ટારને ટિકિટ ન આપવાના વિરોધમાં હુબલી-ધારવાડ મ્યુનિસિપલ કોર્પોરેશનના 16 કાઉન્સિલરોએ તેમના રાજીનામા ભાજપના પ્રદેશ અધ્યક્ષ નલિન કુમાર કતિલને મોકલી દીધા છે.

Share: