કાશ્મીર-કન્યાકુમારીને જોડતો નવો હાઇવે આવતા વર્ષથી શરૂ થશે, નીતિન ગડકરીએ કરી જાહેરાત

કાશ્મીર-કન્યાકુમારીને જોડતો નવો હાઇવે આવતા વર્ષથી શરૂ થશે, નીતિન ગડકરીએ કરી જાહેરાત
Image : Twitter

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ ભારતના ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં કન્યાકુમારી સુધીના નવા બની રહેલો હાઈવે આવતા વર્ષથી શરુ થશે તેવી જાહેરાત કરી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે નવો હાઈવે રોડ આવતા વર્ષની શરૂઆતમાં તૈયાર થઈ જશે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દેશના વિવિધ ભાગોને જોડવા માટે નવા હાઈવે અને એક્સપ્રેસ વેનું નિર્માણ કરી રહી છે. આ હાઈવે પૈકી કાશ્મીર અને કન્યાકુમારીને જોડતો નવો હાઈવે સૌથી લાંબો હાઈવે હશે. નીતિન ગડકરી જમ્મુ-કાશ્મીરના પ્રવાસે હતા. આ દરમિયાન હાઈવે વિશે વાત કરતા તેમણે કહ્યું કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો હાઈવે રોડ અમારા માટે એક સપનું હતો અને આ સપનું 2024ની શરૂઆતમાં સાકાર થશે. હવે રોહતાંગથી લદ્દાખ સુધી ચાર ટનલ બનાવવામાં આવશે.  તેમણે વધુમાં કહ્યું હતું કે નવા હાઈવેના નિર્માણથી દિલ્હી અને ચેન્નાઈ વચ્ચેનું અંતર લગભગ 1 હજાર 312 કિલોમીટર ઓછું થઈ જશે. 

35 હજાર કરોડના ખર્ચે 3 કોરિડોરનું નિર્માણ

જમ્મુથી ઉધમપુર-રામબન-બનિહાલ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગના શ્રીનગર-બનિહાલ સેક્શનની મુલાકાત લેવા પહોંચેલા નીતિન ગડકરીએ ટ્વિટ કર્યું કે ‘જમ્મુ અને શ્રીનગર વચ્ચેની યાત્રાને વધુ સુવિધાજનક બનાવવા માટે 35 હજાર કરોડના ખર્ચે 3 કોરિડોર બનાવવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત જમ્મુથી ઉધમપુર-રામબન-બનિહાલ અને આગળ શ્રીનગર સુધીના પહેલા કોરિડોરમાં શ્રીનગરથી બનિહાલ સેક્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. 250 કિલોમીટર લાંબા આ 4 લેન હાઈવે રોડ 16 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. તેમાંથી 21.5 કિલોમીટરની 10 ટનલ સહિત 210 કિલોમીટરના રૂટનું 4-લેનિંગ પૂર્ણ થયું છે.

13 કિમી લાંબી ટનલનું નિર્માણ

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રીએ માહિતી આપી હતી કે 13 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવી રહી છે. આ ટનલ દરિયાની સપાટીથી 11 હજાર ફૂટથી વધુની ઊંચાઈ પર બનાવવામાં આવી રહી છે, જે કાશ્મીરને કન્યાકુમારી સાથે જોડવાનું કામ કરશે. આ ટનલ લદ્દાખ જેવા દેશના દૂરના ભાગો સુધી પહોંચવાની સુવિધા આપશે. 

Share: