દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર, કેસોમાં ધરખમ વધારો, 5 દર્દીઓના મોત

દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર, કેસોમાં ધરખમ વધારો, 5 દર્દીઓના મોત

મુંબઈ, દિલ્હી, તા.07 એપ્રિલ-2023, શુક્રવાર

દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાના ફરી હાહાકાર મચાવી રહ્યો છે. આજે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 926 કેસ સામે આવ્યા છે, જે ગુરુવારે નોંધાયેલા 803 કેસ કરતાં વધુ છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 3 કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા વધીને 81,48,599 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 1,48,457 લોકોના મોત થયા છે. તો દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં વધુ 733 કોરોના કેસ નોંધાયા છે, જ્યારે 2 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે.

મુંબઈમાં 24 કલાકમાં 276 નવા કેસ નોંધાયા

મુંબઈમાં 24 કલાકમાં 276 નવા કેસ નોંધાયા છે. ગોંદિયા, કોલ્હાપુર અને રાયગઢમાં ત્રણ કોરોના દર્દીઓના મોત નિપજ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 423 લોકો સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 79,95,655 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધીને 4,487 થઈ ગઈ છે.

દિલ્હીમાં 7 મહિના પછી કોરોનાના 733 નવા કેસ નોંધાયા

દિલ્હીમાં કોરોના વાયરસના કેસ દરરોજ વધી રહ્યા છે. દિલ્હીમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શુક્રવારે નવા કેસની સંખ્યા 700ને પાર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 733 નવા કેસ નોંધાયા છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 2 દર્દીઓના મોત નિપજ્યા છે. જો કે મૃત્યુનું પ્રાથમિક કારણ કોવિડ નથી. દિલ્હી સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 460 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલમાં કોરોનાના 2331 સક્રિય કેસ છે. આંકડા મુજબ શુક્રવારે રાજધાનીમાં કોરોનાના 3678 ટેસ્ટ કાયા હતા. બીજી તરફ શુક્રવારે બે દર્દીઓના મોત સાથે દિલ્હીમાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 26536 થઈ ગયો છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 2,01,34,003 લોકો કોરોનાના સકંજામાં આવી ચુક્યા છે.

કોરોનાને સ્થિતિ અને સમીક્ષા કરવા કેન્દ્રીય આરોગ્ય મંત્રીની બેઠક

ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને નવા કેસોએ છેલ્લા 6 મહિનાનો રેકોર્ડ તોડ્યો છે. કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે તમામ રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે દેશમાં કોરોના વાયરસની સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરવા માટે બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં કોરોનાની સ્થિતિ અને રાજ્ય સરકારોની તૈયારીઓ પર ચર્ચા થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે.

દેશના 21 રાજ્યોના 72 જિલ્લા રેડ એલર્ટ

છેલ્લા ચાર અઠવાડિયાથી દેશમાં વધી રહેલા કોરોના કેસના કારણે 21 રાજ્યોના 72 જિલ્લા રેડ એલર્ટ હેઠળ કરવામાં આવ્યા છે. આ જિલ્લાઓમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન 12થી 100 ટકા સેમ્પલ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.

Share: