દહેજમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવા ઉતરેલા 3 શ્રમિકોના ગૂંગળાઈ જવાથી મોત, એકની હાલત ગંભીર

દહેજમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવા ઉતરેલા 3 શ્રમિકોના ગૂંગળાઈ જવાથી મોત, એકની હાલત ગંભીર

અમદાવાદ, 04 એપ્રિલ 2023, મંગળવાર

ભરુચના દહેજમાં ભુગર્ભ ગટરની સફાઈ કરવા ઉતરેલા ચાર શ્રમિકોમાંથી ત્રણ શ્રમિકોના ગૂંગળાઈ જવાથી મોત થયા છે જ્યારે એકની હાલત ગંભીર જાણવા મળી છે. ચારેય શ્રમિકો ગટરની સફાઈ માટે એકબીજાની મદદથી ગટરમાં ઉતર્યા હતા જો કે ગૂંગળામણ થતા ત્રણના મોત થયા હતા અને એક શ્રમિકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 

આ અગાઉ રાજકોટમાં આવી ઘટના બની હતી

ભરુચના દહેજમાં ગ્રામ પંચાયતની હદમાં આવેલી એક ભૂગર્ભ ગટરની સફાઈ કરવા અર્થે ચાર શ્રમિકો ગટરમાં ઉતર્યા હતા જેમાં ત્રણ શ્રમિકોના ગૂંગળાઈ જવાથી મોત નિપજ્યા છે જ્યારે એક શ્રમિકની હાલત ગંભીર થતા તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ત્રણેય શ્રમિકોના મોતથી પરિવારજનોનો હોબાળો મચાવ્યો હતો. આ શ્રમિકોના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાની સાથે ભરૂચ ડીવાયએસપી તથા સ્થાનિક પોલીસની ટીમ પણ ધટના સ્થળે પહોંચી જઇને વધુ તપાસ હાથ ધરી હતી. આ અગાઉ 12 દિવસ પહેલા જ રાજકોટમાં આવી એક ઘટના બની હતી જેમા એક શ્રમિકનું મોત થયુ હતું.

સફાઈ કરવા ઉતરતા શ્રમિકોનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો હતો

રાજ્યમાં ઘણીવાર ગટર સફાઈ દરમિયાન શ્રમિકોના મોત થયા છે ત્યારે દહેજમાં આજે વધુ ત્રણ શ્રમિકોના મોત થયા હતા. આ ગટરમાં સફાઈ કરવા ઉતરતા શ્રમિકોનો મુદ્દો વિઘાનસભામાં પણ ઉઠ્યો હતો અને આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો જેના સરકારે લેખીતમાં જવાબ આપતા કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કુલ 11 શ્રમિકોના મોત થયા છે જેમા 5 પરિવારને સહાય આપવામાં આવી છે અને 6 શ્રમિકોના પરિવારને સહાય આપવાની બાકી છે.

Share: