શિંદેને CM બનાવવાની ઉદ્ધવની ઈચ્છા સામે શરદ પવાર રિક્ષાવાળાના હાથ નીચે કામ કરવા તૈયાર નહોતા !

શિંદેને CM બનાવવાની ઉદ્ધવની ઈચ્છા સામે શરદ પવાર રિક્ષાવાળાના હાથ નીચે કામ કરવા તૈયાર નહોતા !

image : Twitter

મહારાષ્ટ્રના રાજકારણમાં શરદ પવાર ફરી એકવાર ચર્ચામાં છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે તેને લઈને મોટો દાવો કર્યો છે. અરવિંદ સાવંતે કહ્યું કે જ્યારે મહાવિકાસ અઘાડીની રચના થઈ તો ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને સીએમ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ ઓફરને શરદ પવારે ફગાવી દીધી હતી. 

ઉદ્ધવના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો 

અરવિંદ સાવંતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેના પ્રસ્તાવને વિરોધ કરતાં શરદ પવારે કહ્યું હતું કે કોંગ્રેસ અને એનસીપીમાં અનેક દિગ્ગજ નેતાઓ છે. મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પદે પણ રહી ચૂક્યા છે. શું તે લોકો એક રિક્ષાવાળાના હાથ નીચે કામ કરવા તૈયાર થશે? 

સાવંતે કહ્યું – શરદ પવારે દબાણ કર્યું હતું  

સાવંતે કહ્યું કે શરદ પવારે જ આ સવાલ ઊઠાવ્યો હતો અને તેમના દબાણ પછી ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ સ્વીકાર્યું હતું. ઉદ્ધવ સમર્થક અરવિંદ સાવંતે કહ્યું કે શરદ પવારે કહ્યું હતું કે કોંગ્રેસમાં પૃથ્વીરાજ ચૌહાણ અને અશોક ચૌહાણ જેવા બે પૂર્વ મુખ્યમંત્રી છે. એનસીપી પાસે છગન ભુજબલ, જયંત પાટિલ, અજીત પવાર જેવા દિગ્ગજ નેતાઓ છે. શું તે એક રિક્ષા ડ્રાઈવરના હાથ નીચે કામ કરશે?  તેના પછી પણ ઉદ્ધવ ઠાકરેએ શિંદેને સીએમ બનાવવાની ભલામણ કરી હતી પણ શરદ પવારે વાંધો ઊઠાવ્યો. એક રીતે તો અરવિંદ સાવંતે શરદ પવારને જ અપ્રત્યક્ષ રીતે શિવસેનાને તોડવાના જવાબદાર ઠેરવ્યા. 

Share: