VIDEO : કરાંચીમાં ફ્રી રાશન વિતરણ દરમિયાન નાસભાગ, 11ના મોત, ઘણા લોકો ઈજાગ્રસ્ત, મૃત્યુઆંક વધવાની આશંકા

VIDEO : કરાંચીમાં ફ્રી રાશન વિતરણ દરમિયાન નાસભાગ, 11ના મોત, ઘણા લોકો ઈજાગ્રસ્ત, મૃત્યુઆંક વધવાની આશંકા

કરાંચી, તા.31 માર્ચ-2023, શુક્રવાર

પાકિસ્તાનના કરાચીમાં શુક્રવારે સાંજે મફત રાશનને લઈને નાસભાગ મચી હતી, જેમાં 11 લોકોના મોત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે, તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે મૃતકોની સંખ્યા હજુ પણ વધવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

3 બાળકો, 8 મહિલાના મોત

આ ગંભીર ઘટના પાકિસ્તાનના સિંધ પ્રાંતના કરાચીના નોરિસ ચૌરંગીની ડાઈંગ ફેક્ટરી પાસે બની છે… અહીં રમઝાન દરમિયાન ગરીબોને મફત રાશનનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન નાસભાગ મચી હતી, જેમાં 11થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલો છે, તો ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તુરંત સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે. મૃતકોમાં 8 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે. પાકિસ્તાની પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે.

ભીડ બેકાબૂ બનતા નાસભાગ મચી

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, રાશન વિતરણ દરમિયાન મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા. આ દરમિયાન ભીડ અચાનક બેકાબૂ બની ગઈ હતી, ત્યારબાદ અચાનક ભાગદોડ મચતા લોકો આમ-તેમ દોડવા લાગ્યા હતા… પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં તમામ મહિલાઓનો સમાવેશ થાય છે, જેમાં 3 યુવતીઓનો પણ સામેલ છે.

7 લોકોની ધરપકડ કરાઈ

જિયો ન્યૂઝના અહેવાલો અનુસાર, આ ઘટના અંગે પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, ફેક્ટરી મેનેજમેન્ટ દ્વારા પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રને મફત રાશન વિતરણ વ્યવસ્થા અંગે કોઈપણ પ્રકારની જાણ કરાઈ ન હતી… મેનજેમેન્ટ દ્વારા રાશન વિતરણ તેમજ જકાત અંગે કોઈપણ માહિતી અપાઈ ન હતી… ફેક્ટરીના મેનેજર સહિત 7 લોકો કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઘટનાની તપાસ પૂર્ણ થયા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આર્થિક ગરીબી સામે પાકિસ્તાનીઓના હાલ બેહાલ

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન હાલ આર્થિક ગરીબી સામે ઝઝૂમી રહ્યું છે. લોકો જીવન જરૂરી ચીજ-વસ્તુઓ માટે તરસી રહ્યા છે. તો ખાદ્યસામગ્રીના ભાવોએ પણ પાકિસ્તાની લોકોની હાલત ખરાબ કરી નાખી છે. અગાઉ પણ પાકિસ્તાનમાં લોટ અને ચોખા માટે નાસભાગ મચી હોવાની ઘટનના સમાચાર સામે આવ્યા હતા… કરાચીમાં મફત રાશન વિતરણ દરમિયાન થયેલી નાસભાગનો ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

+

Share: