નીતીશ કુમારથી અલગ થવાનું મળ્યું ફળ! ઉપેન્દ્ર કુશવાહાની સુરક્ષા અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

નીતીશ કુમારથી અલગ થવાનું મળ્યું ફળ! ઉપેન્દ્ર કુશવાહાની સુરક્ષા અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

image : Twitter

રાષ્ટ્રીય લોક જનતા દળના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાને કેન્દ્ર સરકારે વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપી છે. મુખ્યમંત્રી નીતીશ કુમારથી છુટા થયા બાદ કેન્દ્ર સરકારે તેમની સુરક્ષા વધારવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં જ તેમણે જેડીયુ છોડી રાલોજદ નામે નવી પાર્ટી બનાવી હતી. 2024ની લોકસભા ચૂંટણી પહેલા તેમની પાર્ટી એનડીએમાં પણ જોડાઈ શકે છે. ઉપેન્દ્ર કુશવાહાને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા મળવાથી હવે ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. 

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આદેશ જારી કર્યો 

અહેવાલો અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ મામલે આદેશ પણ જારી કરી દીધા છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીથી પહેલા ઉપેન્દ્ર કુશવાહાની સિક્યોરિટી વધારવાના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે. ગત દિવસોમાં તેમણે નીતીશ કુમાર સાથે બળવા બાદ જેડીયુ સાથે છેડો ફાડ્યો હતો. જેડીયુ છોડતા જ કુશવાહાએ રાલોજદના નામે નવી પાર્ટી બનાવી હતી. હવે તે એનડીએમાં જોડાઇ શકે છે. 

ઉપેન્દ્ર કુશવાહા સાથે 3 અલગ અલગ શિફ્ટમાં સીઆરપીએફના 11 કમાન્ડો તહેનાત રહેશે

હવે વાય પ્લસ કેટેગરીની સુરક્ષા હેઠળ ઉપેન્દ્ર કુશવાહા સાથે 3 અલગ અલગ શિફ્ટમાં સીઆરપીએફના 11 કમાન્ડો તહેનાત રહેશે. એ તમામ વિશેષ આધુનિક હથિયારોથી લેસ રહેશે. તેમાં બે પીએસઓ પણ સામેલ છે. ઉપેન્દ્ર કુશાવાહા હાલ બિહારમાં વારસો બચાવો યાત્રા યોજી રહ્યા છે. તે જુદા જુદા વિસ્તારોમાં જઈને નીતીશ સરકાર વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે અને તેમની નવી પાર્ટીને મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. એવા ઈનપુટ મળ્યા છે કે યાત્રા દરમિયાન કુશવાહાની સુરક્ષાને ખતરો છે. આ જ કારણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમની સુરક્ષા વધારી વાય પ્લસ કેટેગરીની સિક્યોરિટી આપી દીધી છે. 

Share: