આજે માણિક સાહા ત્રિપુરાના CM તરીકે શપથ લેશે, PM મોદી અને અમિત શાહ હાજર રહેશે

આજે માણિક સાહા ત્રિપુરાના CM તરીકે શપથ લેશે, PM મોદી અને અમિત શાહ હાજર રહેશે
Image : Twitter

નવી દિલ્હી, 08 માર્ચ 2023, બુધવાર

તાજેતરમાં યોજાયેલી ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ આજે માણિક સાહાને ત્રિપુરાના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. માણિક સાહાને મુખ્યમંત્રી તરીકે આ બીજી ટર્મ મળી છે. સોમવારે મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં માણિક સાહાના નામ પર સહમતિ થઈ હતી. આ શપથ સમારોહમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે.

શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહેશે. સાહા સોમવારે સાંજે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળ્યા હતા અને ત્રિપુરામાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. શપથવિધિનો કાર્યક્રમ અગરતલાના સ્વામી વિવેકાનંદ મેદાનમાં યોજાશે. અમિત શાહ અને નડ્ડા ગઈકાલે જ અગરતલા પહોંચી ગયા હતા. મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર માણિક સાહાએ તેમનું સ્વાગત કર્યું હતું.

બેઠકમાં ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરવામાં આવી હતી

આ પહેલા સોમવારે ભાજપના તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્ય દળના નેતા માટે માણિક સાહાના નામનો સર્વસંમતિથી પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. બેઠક બાદ સાહાએ ટ્વીટ કર્યું હતું કે, મને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવા બદલ હું દરેકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પીએમ નરેન્દ્ર મોદી જીના માર્ગદર્શન હેઠળ અમે ઉન્નત ત્રિપુરા, શ્રેષ્ઠ ત્રિપુરા બનાવવા અને તમામ વર્ગના લોકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરીશું.

Share: