UNHRCમાં ભારતે પાકિસ્તાનને લગાવી ફટકાર, આતંકીઓનો સંરક્ષક શાંતિની વાતોનો દેખાડો ન કરે

UNHRCમાં ભારતે પાકિસ્તાનને લગાવી ફટકાર, આતંકીઓનો સંરક્ષક શાંતિની વાતોનો દેખાડો ન કરે

image : twitter

સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદ(UNHRC)માં પાકિસ્તાનને ફરી એકવાર ભારતે જોરદાર લપડાક લગાવી હતી. પાક.ના વિદેશ રાજ્યમંત્રી હિના રબ્બાની ખારના કાશ્મીરનો રાગ આલાપ્યો હતો. જેના પર ભારતે તેમને અરિસો બતાવી દીધો. ભારતીય રાજદ્વારી સીમા પૂજાનીએ પાકિસ્તાનના જુઠ્ઠાં દાવાની પોલ ખોલી નાખતાં કહ્યું કે પાડોશી દેશ તેની પ્રજા માટે ભોજનની વ્યવસ્થા કરી લે એ જ તેના માટે પૂરતું છે. 

પાડોશી દેશમાં લઘુમતીઓનું આઝાદીથી રહેવું મુશ્કેલ 

ભારતના લઘુમતીઓ પર ખતરાની વાત કહેતા પાકિસ્તાનને સીમા પૂજાનીએ સીધે સીધું સંભળાવી દેતા કહ્યું કે પાકિસ્તાને પહેલા પોતાના ઘરને સંભાળવાની જરૂર છે અને પ્રજા માટે ભોજનની વ્યવસ્થા કરવા પર ધ્યાન આપવું જોઈએ. સીમાએ કહ્યું કે પાડોશી દેશમાં કોઈપણ ધાર્મિક લઘુમતી આઝાદીથી રહી ના શકે. તેમણે કહ્યું કે પાક.માં આ લઘુમતીઓને ખાસ કરીને હિન્દુઓને નિશાન બનાવાઈ રહ્યા છે. 

દુર્ભાવનાપૂર્ણ પ્રચાર માટે યુએનના મંચનો દુરુપયોગ કરે છે પાકિસ્તાન 

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીરમાં કરાયેલા અત્યાચાર પર નિવેદનના જવાબમાં ભારતે આકરા મિજાજ સાથે જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય રાજદ્વારીએ કહ્યું કે પાકિસ્તાનના પ્રતિનિધિએ ફરી એકવાર ભારત વિરુદ્ધ તેના દુર્ભાવનાપૂર્ણ પ્રચાર માટે આ મંચનો દુરુપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં દરરોજ લઘુમતીઓ, મહિલાઓ અને ખાસ કરીને હિન્દુ ધર્મના લોકો પર અત્યાચાર વધી રહ્યા છે અને તે બીજાઓ પર જુઠ્ઠાં આરોપો મૂકી રહ્યો છે. 

પાકિસ્તાનની પોલ ખોલી 

ભારતીય રાજદ્વારીએ તેના પછી પાકિસ્તાનની પોલ ખોલવાનું શરૂ કર્યું. સીમા પૂજાનીએ કહ્યું કે પાકિસ્તાન બીજા દેશોમાં આતંક ફેલાવવાનું કામ કરે છે અને બાદમાં શાંતિની વાતો કરવાનો દેખાડો કરે છે. સીમાએ કહ્યું કે પાડોશી દેશ હંમેશાથી આતંકીઓ માટે સુરક્ષિત આશ્રય સ્થાન રહ્યું છે. પાકિસ્તાન અનેક વર્ષોથી હાફિઝ સઈદ, મસૂદ અઝહર અને ઓસામા બિન લાદેન જેવા આતંકીઓને સંરક્ષણ આપતું રહ્યું છે. 

Share: