ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં ઇંધણના ડેપોમાં લાગી ભીષણ આગ, બે બાળક સહિત 17ના મોત

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં ઇંધણના ડેપોમાં લાગી ભીષણ આગ, બે બાળક સહિત 17ના મોત
Image : Twitter

અમદાવાદ, 04 માર્ચ 2023, શનિવાર

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં ગઈકાલે મોડી રાત્રે એક ઓઈલ સ્ટોરેજ ડેપોમાં લાગેલી ભીષણ આગમાં બે બાળકો સહિત 17 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. 

આગ લાગવાનું કારણ સ્પષ્ટ થયું નથી

ગઈકાલે ઉત્તર જકાર્તામાં રાજ્ય ઉર્જા કંપની પેર્ટામિનાના તેલ ડેપોમાં ભારે આગ ફાટી નીકળી હતી. ભયાનક આગને લીધે નાશભાગ થઈ હતી. સ્થાનિક વહીવટી તંત્રે નજીકના રહેણાંક વિસ્તારોને ખાલી કરાવ્યા હતા. ઉત્તર જકાર્તાના ફાયર વિભાગે જણાવ્યું હતું કે આગમાં બે બાળકો સહિત 17 લોકોના મોત થયા છે. આ આગની ઘટનામાં ઓછામાં ઓછા 50 લોકો ઘાયલ થયા છે. હાલ આગ લાગવાનું કારણ સ્પષ્ટ થયું નથી. ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્ટોરેજ આસપાસ ફસાયેલા લોકોનું કરાયું રેસ્કયૂ કરવામાં આવ્યુ હતું.

આગ લાગવાની ઘટના અંગે તપાસ કરાશે

આ આગની ઘટના અંગે તપાસ ચાલુ છે. પર્ટામિના કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે આગને કાબૂમાં લેવા અને આસપાસના વિસ્તારોના કામદારો અને રહેવાસીઓને સુરક્ષિત સ્થાનો પર ખસેડવાની દિશામાં કામ કરી રહી છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવે કહ્યું કે તે આવી ઘટનાનું પુનરાવર્તન અટકાવવા માટે આંતરિક સમીક્ષા કરશે.

Share: