'આંદામાન અને નિકોબારના 21 ટાપુઓ હવે પરમવીર ચક્ર વિજેતાઓના નામે' :PM મોદી

'આંદામાન અને નિકોબારના 21 ટાપુઓ હવે પરમવીર ચક્ર વિજેતાઓના નામે' :PM મોદી

Image: DD news

આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​વર્ચ્યુલી હાજરી દ્વારા આંદામાન અને નિકોબારના 21 મોટા ટાપુઓનું નામકરણ કર્યું હતુ. આ નામકરણ અંગેની વિશેષતા એવી છે કે ટાપુઓ પરમવીર ચક્રના નામથી ઓળખાશે. PM સિવાય ગૃહમંત્રી અમિત શાહે પણ આ કાર્યક્રમમાં પોર્ટ બ્લેર જઈ હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં વર્ચ્યુલી  ઉદ્ઘાટન બાદ PM મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, આ 21 ટાપુઓ હવે પરમવીર ચક્ર વિજેતાના નામ પરથી ઓળખાશે. આવનારી પેઢીઓ આ અધ્યાયને આઝાદીના અમૃતના મહત્વના દિવસ તરીકે યાદ રાખશે. આ ટાપુઓ આપણી આવનારી પેઢીઓ માટે શાશ્વત પ્રેરણાનું સ્થાન બની રહેશે. આ માટે હું દરેકને અભિનંદન આપું છું.

પીએમએ આંદામાન વિશે વાત કરતા કહ્યું હતુ કે, આ જ ધરતી છે જેના પર પહેલીવાર સ્વતંત્ર રીતે ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો.  ત્યાંની સેલ્યુલર જેલમાં આજે પણ એ અભૂતપૂર્વ જુસ્સાના અવાજોની વેદના સંભળાય છે. આ સ્મારક આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ છે. આઝાદી બાદ નેતાજીને ભૂલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નેતાજીની જન્મજયંતિના અવસર પર 23 જાન્યુઆરીને ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતુ કે, આજે જે 21 ટાપુઓના નામકરણને નવા નામ મળ્યા છે,  તે એક ભારત, શ્રેષ્ઠ ભારતનો મહત્વનો સંદેશ લોકો સુધી પહોંચે છે. આ સંદેશ આપણા સશસ્ત્ર દળોની બહાદુરી વિશે છે. મોદીએ કહ્યું, તમામ 21 પરમવીરોનો એક જ સંકલ્પ હતો ‘ભારત ફર્સ્ટ’. આજે આ ટાપુઓના નામકરણથી તેમનો સંકલ્પ કાયમ માટે અમર થઈ ગયો છે. છેલ્લા 8 વર્ષમાં દેશે આ દિશામાં સતત પ્રયાસો કર્યા છે.

Share: