શું CM નીતીશ કુમાર ફરી મારશે ગુલાંટ? બિહારમાં જેડીયુ નેતાએ આપ્યાં સંકેત

શું CM નીતીશ કુમાર ફરી મારશે ગુલાંટ?  બિહારમાં જેડીયુ નેતાએ આપ્યાં સંકેત
imege : Twitter

પટણા, તા. 22 જાન્યુઆરી, 2023, રવિવાર

શું બિહારના મુખ્યમંત્રી  નીતીશ કુમાર ફરી યુ-ટર્ન લઈને ભાજપમાં પાછા જવાનું વિચારી રહ્યા છે? જનતા દળ (યુનાઈટેડ)ના સંસદીય બોર્ડના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાના નિવેદન બાદ આ સવાલ ફરી ચર્ચાનો વિષય બની ગયો છે. જેડીયુ નેતા કુશવાહાએ કહ્યું કે, હોસ્પિટલમાં 3 ભાજપ નેતાઓએ મારા ખબર-અંતર શું પૂછ્યાં કે મારી ભાજપમાં જોડાવાની ચર્ચા થવા લાગી, પણ હું સ્પષ્ટ કરવા માગું છું કે અમારી પાર્ટીના અનેક મોટા નેતાઓ ભાજપના નેતાઓના સંપર્કમાં છે.

તાજેતરમાં ઉપેન્દ્ર કુશવાહા અને ભાજપના ૩ નેતાઓની તસવીર વાઈરલ થઈ હતી 

ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે ભાજપ નેતાઓ સાથેની મારી મુલાકાતની તસવીર સામે આવ્યા બાદ મોટી મોટી વાતો કહેવામાં આવી રહી છે. શું આનો કોઈ અર્થ છે? કોઈપણ વ્યક્તિ કોઈપણ વ્યક્તિ સાથે અંગત સંબંધ રાખી  શકે છે. મારો પક્ષ જનતા દળ (યુનાઈટેડ) બે-ત્રણ વખત ભાજપના સંપર્કમાં આવ્યો અને પછી અમારા સંબંધો તૂટ્યાં. પાર્ટી પોતાની રણનીતિ પ્રમાણે જે જરૂરી હોય તે કરે છે. હું જેડીયુમાં રહીશ કે નહીં, તે મારી તરફથી જ નક્કી થઈ શકે છે.

રામચરિત્ર માનસ અંગે જેડીયુ-રાજેડીમાં ફરી વિવાદ 

જોકે હવે ઉપેન્દ્ર કુશવાહાના નિવેદનથી એવી ચર્ચા થવા લાગી છે કે બની શકે કે મુખ્યમંત્રી નીતીશ કુમાર ફરી ભાજપના સંપર્કમાં હોઈ શકે છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર અને રામચરિત્ર માનસ પર આરજેડી નેતાઓની ટિપ્પણીઓને લઈને જેડીયુ અને તેમના વર્તમાન સહયોગી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતાઓ વચ્ચે જે પ્રકારનો વાદ-વિવાદ ચાલી રહ્યો છે તેનાથી એવું લાગી રહ્યું છે કે બંને પક્ષો વચ્ચે તિરાડ પડી રહી છે.. આવી સ્થિતિમાં નીતીશ કુમાર ફરીથી યુ-ટર્ન લેશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.

Share: