‘ભારત જોડો યાત્રા’ના સમાપન સમારોહમાં આ 21 પક્ષોને અપાયું આમંત્રણ

‘ભારત જોડો યાત્રા’ના સમાપન સમારોહમાં આ 21 પક્ષોને અપાયું આમંત્રણ

કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’નું સમાપન 30 જાન્યુઆરીએ થવાની તૈયારીમાં છે. યાત્રાના છેલ્લા પડાવમાં કોંગ્રેસ પક્ષ સાથે ઘણા રાજકીય પક્ષો જોવા મળશે. આ માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 11 જાન્યુઆરીએ 21 પક્ષોને આમંત્રણ પત્ર મોકલ્યું છે, જેની જાણકારી રાજ્યસભાના સાંસદ જયરામ રમેશે ટ્વિટ કરીને આપી છે.

અત્યાર સુધીમાં પદયાત્રામાં 3300 કિમીની સફર કરાઈ

ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ કન્યાકુમારીથી શરૂ થઈ અને અત્યાર સુધીમાં 3300 કિલોમીટર યાત્રા ફરી છે. આ યાત્રામાં સદભાવ અને સમાનતાનો સંદેશ છે.

કોંગ્રેસ અધ્યક્ષે સમાપન સમારોહમાં ભાગ લેવા આપ્યું આમંત્રણ

મલ્લિકાર્જુન ખડગેએ પત્રમાં લખ્યું છે કે, ઉનાળો, શિયાળો અને વરસાદમાં આ યાત્રા દરરોજ 20-25 કિમી ચાલે છે. યાત્રાની શરૂઆતથી જ અમે સમાન વિચારધારા ધરાવતા ભારતીય યાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. રાહુલ ગાંધીના આમંત્રણ પર જુદા જુદા તબક્કાઓમાં ઘણા રાજકીય પક્ષોના સાંસદો યાત્રામાં સાથે ચાલ્યા છે. હવે હું આપને 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં યોજાનાર ભારત જોડો યાત્રાના સમાપન સમારોહમાં વ્યક્તિગતરૂપે સામેલ થવા માટે આમંત્રણ આપી રહ્યો છું.

આ પક્ષોને મોકલાયું આમંત્રણ

‘ભારત જોડો યાત્રા’ માટે કોંગ્રેસે જે પક્ષોને આમંત્રણ મોકલ્યું છે, તેમાં ટીએમસી, જદયુ, એસએસ, ટીડીપી, નેકાં, સપા, બસપા, દ્રમુક, ભાકપા, સીપીએમ, ઝામુમો, રાજદ, આરએલએસપી, હમ, પીડીપી, રાકાંપા, એમડીએમકે, વીસીકે, આઈયૂએમએલ, કેએસએમ, આરએસપી સામેલ છે. શરદ યાદવને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરમાં તિરંગો લહેરાવશે

7 સપ્ટેમ્બર 2022ના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી ભારત જોડો યાત્રા 30 જાન્યુઆરી 2023ના રોજ શ્રીનગરમાં સમાપ્ત થશે, જ્યાં રાહુલ ગાંધી તિરંગો લહેરાવશે. આ પદયાત્રા અત્યાર સુધીમાં તમિલનાડુ, કેરલ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાંથી પસાર થઈ ચુકી છે.

Share: