કાંઝાવાલા રોડ અકસ્માત: જાણો ફોરેન્સિક રિપોર્ટમાં શું થયો ખુલાસો

કાંઝાવાલા રોડ અકસ્માત: જાણો ફોરેન્સિક રિપોર્ટમાં શું થયો ખુલાસો

દિલ્હીમાં કાંઝાવાલા રોડ અકસ્માતમાં મૃતકની ઘટના અંગે સતત ચોંકાવનારી માહિતી બહાર આવી રહી છે. ફોરેન્સિક રિપોર્ટ કહ્યું છે કે, કારની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે યુવતી કારના આગળના ડાબા વ્હીલમાં ફસાઈ ગઈ હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, મોટાભાગના લોહીના ડાઘા આગળના ડાબા વ્હીલની પાછળ જોવા મળ્યા હતા પરંતુ અન્ય ભાગો પણ લોહીથી રંગાયેલ હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મહિલા કારની અંદર હાજર હોવાના કોઈ સંકેત નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કારમાં સવાર લોકોના બ્લડ સેમ્પલ ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. મહિલાના પીએમમાં તેની સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો નથી. કાર સાથે અથડાઈ ત્યારે સ્થળ પર હાજર મહિલાના મિત્રએ દાવો કર્યો હતો કે કારની અંદર રહેલા લોકોને ખબર હતી કે મૃતક યુવતી કારની નીચે ફસાઈ ગઈ છે.

મૃત યુવતી અને તેની સહેલી 1.30 વાગ્યે હોટેલમાંથી નીકળી ગયા
પોલીસે આ કેસમાં ખુલાસો કર્યો હતો કે  મૃત યુવતી અને તેની સહેલી રાતે 1.30 વાગ્યે હોટલમાંથી નીકળી ગયા હતા. પોલીસે જણાવ્યું કે શરૂઆતમાં તેની સહેલી સ્કૂટી ચલાવતી હતી પરંતુ તેની સહેલી પાસેથી મળેલી માહિતી મુજબ મુત યુવતી તેના હોશમાં ન હતી અને તે સ્કૂટી ચલાવવા માંગતી હતી. યુવતી ચલાવી રહી હતી ત્યારે કારે સ્કૂટીને ટક્કર મારી હતી. યુવતી કારની નીચે ફસાઈ ગઈ હતી. સહેલીએ કહ્યું કે, તે ખૂબ જ ડરી ગઈ હતી અને ઘરે પરત આવી ગઈ હતી.

ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા યુવતીના પરિવારને મળ્યા
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા યુવતીના પરિવારને મળ્યા છે. તેમની સાથે સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજ પણ હતા. આ દરમિયાન તેમણે જાહેરાત કરી કે દિલ્હી સરકાર યુવતીના પરિવારના એક સભ્યને નોકરી આપશે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે. બાળકીની માતાની સારવાર માટે જે પણ જરૂર પડશે તે દિલ્હી સરકાર કરશે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે સરકાર દ્વારા 10 લાખની સહાય આપવામાં આવી શકે છે.

Share: