2023માં આ 10 રાજ્યોમાં યોજાશે ચૂંટણી : જાણો ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોની રાજકીય સ્થિતિ

2023માં આ 10 રાજ્યોમાં યોજાશે ચૂંટણી : જાણો ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોની રાજકીય સ્થિતિ

નવી દિલ્હી, તા.01 જાન્યુઆરી-2023, રવિવાર

આ વર્ષ રાજકીય દૃષ્ટિકોણથી ભારતમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. આ વર્ષે દેશમાં કુલ 10 રાજ્યોની ચૂંટણી યોજાવાની છે. પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે ચૂંટણી યોજાશે. જ્યારે દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા એપ્રિલ-મેમાં પૂર્ણ થશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણા રાજ્યો પણ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી જોવા મળશે. આ વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પણ ચૂંટણી યોજાઈ શકે છે. હાલ મધ્યપ્રદેશ, ત્રિપુરા અને કર્ણાટકમાં ભાજપની સરકાર છે, જ્યારે મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમમાં ભાજપ એનડીએના સહયોગીઓ સાથે સરકારમાં છે. કોંગ્રેસ પાસે માત્ર રાજસ્થાન અને છત્તીસગઢ છે. તેલંગાણામાં ભારતીય રાષ્ટ્ર સમિતિની સરકાર છે. કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં હજુ સુધી ચૂંટણી થઈ નથી.

મધ્ય પ્રદેશ

હાલમાં મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. ચૂંટણી બાદ 230 બેઠકોની વિધાનસભામાં 114 બેઠકો જીતનાર કોંગ્રેસે અપક્ષો અને બસપા અને સપાના સમર્થનથી સરકાર બનાવી છે. આ સાથે 1998 પછી પહેલીવાર કોંગ્રેસ અહીં સત્તામાં આવી છે. જોકે દોઢ વર્ષ બાદ કોંગ્રેસમાં બળવો થયો હતો. માર્ચ 2020માં જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકો સહિત કુલ 22 ધારાસભ્યોએ પક્ષ પલટો કરી ભાજપમાં જતા રહ્યા હતા, જેના કારણે કમલનાથ સરકાર પડી ગઈ હતી. ત્યારબાદ ભાજપ ફરી સત્તામાં આવી અને શિવરાજ સિંહ ચૌહાણ ફરી એકવાર મુખ્યમંત્રી બન્યા. અહીં કુલ 28 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે 18 બેઠકો જીતી અને ફરી એકવાર વિધાનસભામાં બહુમતી મેળવી હતી. રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાશે. ભાજપ સામે પ્રદર્શન સુધારવાનો પડકાર રહેશે, તો મુખ્ય વિપક્ષ કોંગ્રેસ ફરી સરકારમાં આવવાનો પ્રયાસ કરશે.

રાજસ્થાન

છેલ્લા ત્રણ દાયકાથી રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સત્તા બદલાય છે. 2018ની ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પાંચ વર્ષ બાદ ફરી સત્તામાં આવી છે. અશોક ગેહલોત ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા. જો કે, પોતાના જ લોકોના બળવાને કારણે સરકાર ક્યારેય સ્થિર જોવા મળી નથી. જુલાઇ અને ઓગસ્ટ 2020માં પાઈલટ જૂથના બળવાના કારણે અશોક ગેહલોતની આગેવાની હેઠળની રાજસ્થાન સરકારને અવિશ્વાસના મતનો સામનો કરવો પડ્યો. બળવાના કારણે પાયલોટ સહિત અનેક ધારાસભ્યોને તેમના પદ ગુમાવવા પડ્યા હતા. અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ અને કોંગ્રેસ હાઈકમાન્ડની સમજાવટ બાદ પાયલોટ જૂથનું વલણ ઢીલું પડી ગયું. ત્યારબાદ સરકારે રાજસ્થાન વિધાનસભામાં ધ્વનિ મત દ્વારા વિશ્વાસનો મત જીત્યો હતો.

રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. કોંગ્રેસ આ વખતે કોના ચહેરા પર ચૂંટણી લડશે તે હજુ અસ્પષ્ટ છે. ઉપરાંત પાર્ટીને સત્તા વિરોધી લહેર પર કાબૂ મેળવવાનો પડકાર પણ સામે આવશે. બીજી તરફ ભાજપને અહીં સત્તામાં પાછા ફરવાની આશા છે.

ત્રિપુરા

2018ની ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી. ભાજપે અહીં 25 વર્ષથી શાસન કરતા ડાબેરીઓને હરાવ્યા હતા અને બિપ્લબ દેબ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. આ વર્ષે મે મહિનામાં ભાજપે રાજ્યની સત્તા દેબના બદલે જહ માણિક સાહને સોંપી હતી. હવે શાહ પર ભાજપને સત્તામાં પરત લાવવાની જવાબદારી રહેશે. જો કે, ચૂંટણીની જાહેરાત પહેલા જ રાજ્યમાં રાજકીય ગરમાવો ચાલુ થઈ ગયો છે. ભાજપના નેતા હંગશા કુમાર ત્રિપુરા આ વર્ષે ઓગસ્ટમાં તેમના 6,000 આદિવાસી સમર્થકો સાથે ટિપરા મોથામાં જોડાયા હતા. તો બીજી તરફ આદિવાસી અધિકાર પાર્ટી ભાજપ વિરોધી રાજકીય મોરચો શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. ઉપરાંત અનેક નેતાઓ પાર્ટી બદલી રહ્યા છે.

મેઘાલય

2018માં રાજ્યમાં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) અને ભાજપની ગઠબંધન સરકાર બની હતી. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. જો કે કોંગ્રેસ બહુમતીના આંકડાથી થોડી દુર રહી હતી. બીજીતરફ NPP અને ભાજપ ચૂંટણીમાં અલગથી લડ્યા હતા અને ગઠબંધન કર્યું હતું. NPPના કોનરાડ સંગમા મુખ્યમંત્રી બન્યા હતા. અહીં પણ ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ગઠબંધન સરકાર ચલાવી રહેલા NPP અને ભાજપ વચ્ચે પણ વિવાદ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ બે ધારાસભ્યોએ NPPમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા.

નાગાલેન્ડ

2018ની વિધાનસભા ચૂંટણી પહેલા સત્તારૂઢ નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)ના બે ભાગ પડી ગયા હતા. ત્યારબાદ પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યના મુખ્યમંત્રી નેફ્યૂ રિયોએ બળવાખોર જૂથમાં જતા રહ્યા હતા. આ ઘટના બાદ બળવાખોરોએ નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP)ની રચના કરી હતી. તો ચૂંટણી પહેલા જ એનપીએફએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. ભાજપ અને એનડીપીપીએ સાથે મળીને ચૂંટણી લડી હતી. નાગાલેન્ડમાં એનડીપીપીએ 18 અને ભાજપે 12 સીટો જીતી હતી. ગઠબંધન સત્તામાં આવ્યું અને નેફિયુ રિયો મુખ્યમંત્રી બન્યા હતા. નેફ્યૂ રિયો મુખ્યમંત્રી બન્યા બાદ 27 સીટો જીતનાર NPFના મોટાભાગના ધારાસભ્યો NDPPમાં જોડાઈ ગયા છે, જેના કારણે NDPP ધારાસભ્યોની સંખ્યા 42 થઈ ગઈ છે. જ્યારે એનપીએફમાં માત્ર 4 ધારાસભ્યો જ બચ્યા હતા. બાદમાં NPFએ પણ સત્તાધારી ગઠબંધનને સમર્થન આપ્યું. હાલમાં રાજ્ય વિધાનસભાના તમામ 60 ધારાસભ્યો સત્તાધારી પક્ષમાં છે.

કર્ણાટક

2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 224 બેઠકોવાળી કર્ણાટક વિધાનસભામાં 104 બેઠકો જીતી હતી. સૌથી મોટી પાર્ટી હોવા છતાં ભાજપ સત્તાથી દૂર રહી છે. આ દરમિયાન JDS અને કોંગ્રેસે ચૂંટણી પછી ગઠબંધન કરી અહીં સરકાર બનાવી હતી, જોકે બાદમાં કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોએ રાજીનામા આપતા કુમારસ્વામી સરકારનું પતન થયું હતું. અહીં પણ ધારાસભ્યો ભાજપમાં જતા રહ્યા હતા અને આ જ કારણે ભાજપે બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં સરકાર બનાવી હતી. યેદિયુરપ્પાએ 26મી જુલાઇ 2021ના ​​રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું, તેમના ચોથા કાર્યકાળની બીજી વર્ષગાંઠ 28મી જુલાઈ-2021ના રોજ બસવરાજ બોમાઈને મુખ્યમંત્રી બનાવાયા છે. રાજ્યમાં એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી યોજાવાની છે.

છત્તીસગઢ

કોંગ્રેસે 2018માં 15 વર્ષ બાદ રાજ્યમાં 90માંથી 68 બેઠકો જીતીને ફરીથી સત્તા મેળવી હતી. જ્યારે રમણ સિંહના નેતૃત્વમાં ભાજપને માત્ર 15 બેઠકો જીતી હતી. અહીં કોંગ્રેસે ભૂપેશ બઘેલને રાજ્યના મુખ્યમંત્રી બનાવ્યા છે. 2018થી ભાજપ અહીં યોજાયેલી પાંચ પેટાચૂંટણી હારી ગયું છે. તાજેતરમાં યોજાયેલી ભાનુપ્રતાપપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની હાર થઈ હતી. અગાઉ કોંગ્રેસે દંતેવાડા, ચિત્રકોટ, મારવાહી અને ખૈરાગઢમાં પણ જીત મેળવી હતી.

મિઝોરમ

મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)એ વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં 40માંથી 26 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર 5 સીટો જીતી શકી હતી. રાજ્યમાં ભાજપે પ્રથમ વખત ખાતું ખોલાવ્યું હતું. આ વખતે પણ ભાજપ અને MNF હવેથી મોટી જીતનો દાવો કરી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ પક્ષ પોતાની જ પાર્ટીને એકજૂટ રાખવા સંઘર્ષ કરી રહી છે.

તેલંગાણા

વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની ભારત તેલંગણા રાષ્ટ્ર સમિતિ (અગાઉનું નામ – તેલંગાણા રાષ્ટ્ર સમિતિ)એ 119માંથી 87 બેઠકો મેળવી જંગી જીત નોંધાવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને 19 બેઠકો મળી હતી. તો ટીડીપીને માત્ર બે બેઠકો, ભાજપને માત્ર એક બેઠક મળી હતી. રાજ્યના ઘણા મોટા નેતાઓ કોંગ્રેસ, ટીડીપી સહિત અન્ય પાર્ટીઓમાંથી ભાજપમાં જોડાયા છે. ભાજપ 2023ની ચૂંટણી મુખ્યપક્ષ તરીકે ટીઆરએસ સામે લડવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના ઘણા નેતાઓ અહીં અવારનવાર ચૂંટણી મુલાકાતો કરી રહ્યા છે.

જમ્મુ અને કાશ્મીર

કલમ-370 હટાવ્યા બાદ રાજ્ય વિધાનસભા માટે સીમાંકનનું કામ પૂર્ણ થઈ ગયું છે. ચૂંટણી પંચ આ વર્ષે જ રાજ્યમાં ચૂંટણી કરાવી શકે છે. જમ્મુ અને કાશ્મીરના ભાજપના પ્રભારી તરુણ ચુગે તાજેતરમાં પાર્ટીના સભ્યોને રાજ્યના લોકો સુધી પહોંચવા હાકલ કરી હતી. ભાજપે પણ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. આગામી ત્રણ મહિનામાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના અહેવાલો પણ મળી રહ્યા છે. વિપક્ષો પણ જમ્મુ-કાશ્મીરની ચૂંટણી લડવા તનતોડ મહેનત કરી રહ્યા છે. 5 ડિસેમ્બરના રોજ જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાને નેશનલ કોન્ફરન્સના વડા તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદની નવી ડેમોક્રેટિક આઝાદ પાર્ટી પણ આ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

Share: