કોઈ એક વ્યકિતને કારણે મારો વિકાસ નથી થયો, આ રીતે આખો હિસાબ ગણાવ્યો અદાણીએ

કોઈ એક વ્યકિતને કારણે મારો વિકાસ નથી થયો, આ રીતે આખો હિસાબ ગણાવ્યો અદાણીએ

નવી દિલ્હી, તા.29 ડિસેમ્બર-2022, ગુરુવાર

આઝાદીના 75 વર્ષમાંથી 58 વર્ષ 1 ટ્રિલિયન ડૉલરની GDP ઉભી કરવા માટે થયો. 12 વર્ષમાં 2 ટ્રિલિયન અને વધુ 5 વર્ષમાં 3 ટ્રિલિયન ડૉલર… હવે આપણે જે રીતે ઝડપથી આગળ વધી રહ્યા છે. આગામી દાયકામાં દર 12થી 18 મહિનામાં આપણે GDPમાં 1 ટ્રિલિયન ડૉલર જોડીશું. 2050 સુધીમાં ભારત 30 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બની શકે. અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીએ ખાનગી ચેનલને આપેલા એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી… તો જાણીએ આ ઈન્ટરવ્યુ દરમિયાન અદાણીએ શું શું કહ્યું…..

હું અને PM મોદી એક રાજ્યમાંથી, તેથી સવાલ કરવો સરળ

ગૌતમ અદાણીએ કહ્યું કે, પીએમ અને હું એક જ રાજ્યના છીએ, તેથી આરોપ લગાવવો સરળ બની જાય છે. મારી વિરૂદ્ધ આવી વાતો કહેવામાં આવે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. અમે કોઈ એક કારણથી સફળ થયા નથી, પરંતુ 3 દાયકાઓમાં ઘણી સરકારોની નીતિમાં ફેરફાર થવાથી અમે સફળ થયા છીએ.

અદાણીએ તેમના બિઝનેસ સફર અંગે 4 મહત્વની વાતો કહી…

  1. રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે મારી સફર શરૂ થઈ. તેમણે એક્ઝિમ પોલિસીને આગળ વધાર્યું, જેના કારણે મારો એક્સપોર્ટ હાઉસ શરૂ થયો. જો તેઓ ન હોત તો મારી શરૂઆત આવી ન હોત…
  2. 1991માં નરસિમ્હા રાવ અને મનમોહનસિંહે આર્થિક સુધારો શરૂ કર્યો, જેનો મારી સાથે ઘણા લોકોને ફાયદો થયો…
  3. 1995માં જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે માત્ર મુંબઈથી દિલ્હી સુધીનો NH-8 ડેવલપ થયો હતો. પોલિસીમાં ફેરફારના કારણે મુદ્રા પર પ્રથમ પોર્ટ બનાવવાની તક મળી.
  4. 2001માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની નીતિઓના કારણે ઉદ્યોગો અને રોજગારમાં વધારો થયો. આવી જ બાબત વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કરી રહ્યા છે.

વિરોધ લોકતંત્રનો ભાગ છે, હું હંમેશા સાચો નથી હોતો…

ઓસ્ટ્રેલિયાની સાથે સાથે કેટલાક રાજ્યોમાં વેપારના વિરોધ પર અદાણીએ કહ્યું, વિરોધ લોકતંત્રનો ભાગ છે. હું એવું માનું છું કે, આપણા દેશના લોકતંત્રને તમામને આર્થિક આઝાદી અને તકો આપી છે. હું ટીકાઓને ખોટો ગણતો નથી. હું હંમેશા સામેવાળી વ્યક્તિના પક્ષને સમજવાનો પ્રયાસ કરું છું. હું એ પણ સ્વીકારું છું કે હું હંમેશા સાચો નથી હોઉં. જ્યારે જ્યારે ટીકા થાય છે, ત્યારે હું તેમાં સુધારા કરવાની તકો શોધું છું.

9 વર્ષમાં નફો દેવા કરતાં બમણી ઝડપથી વધ્યો

અદાણી ગ્રૂપનો બિઝનેસ એનર્જી, પોર્ટ્સ, લોજિસ્ટિક્સ, માઈનિંગ, ગેસ, ડિફેન્સ અને એરોસ્પેસ અને એરપોર્ટ જેવા સેક્ટર સુધી ફેલાયેલો છે. અદાણી ગ્રુપ પર લગભગ 2 લાખ કરોડ રૂપિયાનું દેવું છે, જેને લઈને ઘણા લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. આ અંગે ગૌતમ અદાણીએ જણાવ્યું કે, અમે આર્થિક સ્તરે ખૂબ જ મજબૂત અને સુરક્ષિત છીએ. બે પ્રકારના લોકો આ વાતો કહે છે. પહેલો જેની પાસે આર્થિક સ્થિતિ અને દેવા અંગેની જાણકારી હોતી નથી. અને બીજો જે સ્વાર્થી હોય છે, આવા લોકો જબરદસ્તીથી ભ્રમ ફેલાવતા હોય છે.

અદાણીએ કહ્યું કે, હકીકત એ છે કે, ગત 9 વર્ષ દરમિયાન અમારો નફો અમારા દેવા કરતા બમણી ઝડપથી વધ્યો છે, જેના કારણે અમારો ડેબ્ટ-ટુ-Ebitda રેશ્યો 7.6થી ઘટીને 3.2 પર આવી ગયો છે, જે મોટા ગ્રુપ માટે સારી વાત છે.

2023ની મંદીથી ભારતને કોઈ અસર નહીં

ઘણા નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે 2023માં વૈશ્વિક મંદી આવશે. આ અંગે ગૌતમ અદાણીએ જણાવ્યું કે, હું ખૂબ આશાવાદી છું અને ક્યારેય આશા છોડતો નથી. અગાઉ 2008માં પણ ઘણા નિષ્ણાતોએ ભારતમાં મંદી દરમિયાન આર્થિક સંકટ આવવાની વાત કરી હતી, પરંતુ દેશે તેને ખોટી સાબિત કરી. હું આશા રાખુ છું કે, આગામી બજેટ મૂડી ખર્ચ, રોજગાર અને સામાજિક સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આનાથી ભારતને ગ્લોબલ હેંડવિંડથી બચાવવામાં મદદ મળશે.

Share: