નાદાર જેટ એરવેઝના CEOનું મોટું નિવેદન, કહ્યું અમે 'કોઈ કર્મચારીને જવા દીધો નથી, પરંતુ…'

નાદાર જેટ એરવેઝના CEOનું મોટું નિવેદન, કહ્યું અમે 'કોઈ કર્મચારીને જવા દીધો નથી, પરંતુ…'
Image – Jet Airways, Twitter

નવી દિલ્હી, તા.26 ડિસેમ્બર-2022, સોમવાર

CEO સંજીવ કપૂરે જેટ એરવેઝને ફરી શરૂ કરવામાં વિલંબ અને એરલાઈન્સ ફરી શરૂ કરવાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, કંપનીમાંથી કોઈપણ કર્મચારીને કાઢી મુકાયા નથી. જો કે, તેમણે કહ્યું કે કેટલીક બાબતોના કારણે જે અમારા નિયંત્રણની બહાર હતા, એરલાઈન્સે કેટલાક કામચલાઉ નિર્ણયો લેવા પડ્યા હતા.

સંજીવ કપૂરે કર્મચારીઓની પ્રશંસા કરી

મીડિયા અહેવાલ મુજબ સીઈઓ સંજીવ કપૂરે સ્પષ્ટતા કરી કે, તમામ કર્મચારીઓ સારા છે. આ તમામ કર્મચારીઓ કંઈક એવું કરવા સખત મહેનત કરી રહ્યા છે જે પહેલા ક્યારેય નહોતું કર્યું. આ તમામ કર્મચારીઓ નાદાર એરલાઈન્સને ફરી શરુ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, સંજીવ કપૂરની આ નિવેદન એ અહેવાલો બાદ આવ્યું, જેમાં કહેવાયું હતું કે નાદાર થયેલી એરલાઇન કંપનીના નવા માલિકો અને ધિરાણકર્તાઓ વચ્ચે કોર્ટ દ્વારા મંજૂર કરાયેલ રિઝોલ્યુશન પ્લાનના કેટલાક મુદ્દાઓ પર વિવાદ છે.

કપૂરે કહ્યું- કામચલાઉ આકરા નિર્ણયો લેવા પડ્યા

મીડિયાના તાજેતરના અહેવાલ મુજબ ખાનગી ક્ષેત્રની તમામ એરલાઇન્સમાં નંબર-1 એરલાઇન જેટ એરવેઝને ફરી શરૂ કરવાની પ્રક્રિયામાં અવરોધનું એક કારણ એવું કહેવાય છે કે, નવા માલિકોએ પૂર્વ-કર્મચારીઓને પેન્શન ફંડની બાકીની રકમ ચૂકવણી કરવાની જરૂર છે કે નહીં. આ દરમિયાન સંજીવ કપૂરે જણાવ્યું કે, કેટલાક કારણોસર અમારે કેટલાક અસ્થાયી કડક નિર્ણયો લેવા પડ્યા છે, જોકે અમે કોઈ કર્મચારીને જવા દીધા નથી.

Share: