કોરોનાને લઈને કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન, રાજ્યોને જુઓ શું અપાયા આદેશ

કોરોનાને લઈને કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન, રાજ્યોને જુઓ શું અપાયા આદેશ
Image – Mansukh Mandaviya, Twitter

નવી દિલ્હી, તા.23 ડિસેમ્બર-2022, શુક્રવાર

વિશ્વભરમાં ફરી કોરોનાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કોરોના દર્દીઓની હાલત અંગેના ચીન તરફથી મળી રહેલા અહેવાલો તેમજ સામે આવેલી દર્દનાક તસવીરોના કારણે વિશ્વભરના મોટાભાગના લોકો  ફરી ચિંતિત બની રહ્યા છે. હાલ ચીન સહિત ઘણા દેશોમાં કોરોના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે, જેને લઈને ભારત સહિત ઘણા દેશો અગમચેતીના ભાગરૂપે કોરોનાના પગપેસારાને રોકવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો ભારતમાં પણ તકેદારી પગલાં ઉઠાવાઈ રહ્યા છે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે કોવિડ-19ને ફેલાતો અટકાવવા માટેની તૈયારીના ભાગરૂપે તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી.

બેઠક પૂર્ણ થયા બાદ ગાઈડલાઈન જારી કરાઈ

આ બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. આમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભુષણે રાજ્યોને ચિઠ્ઠી લખીને આવનારા દિવસોમાં તહેવારોમાં ખાસ ધ્યાન આપવા જણાવ્યું છે. સાથે જ ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને ટ્રેસિંગ પર ધ્યાન આપવાની પણ સલાહ આપી છે. રાજ્યોને ખાતરી કરવા જણાવ્યું છે કે, તમામ લોકો પ્રોકેશન ડોઝ લે. લોકોને માસ્ક પહેલા અને સોશિયલ ડિસ્ટેન્સિંગ માટે પણ કહ્યું છે.

ઉલ્લેખનિય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22મી ડિસેમ્બરે ગુરુવારે કોરોનાના ખતરાને ધ્યાને રાખી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 21મી ડિસેમ્બરે બુધવારે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

Share: