ભારતીય અર્થતંત્ર પર મંદીનું જોખમ નથી પરંતુ આ કારણે થોડું નુકસાન સહન કરવું પડશે: RBI

ભારતીય અર્થતંત્ર પર મંદીનું જોખમ નથી પરંતુ આ કારણે થોડું નુકસાન સહન કરવું પડશે: RBI
Image – RBI Say, Twitter

નવી દિલ્હી, તા.21 ડિસેમ્બર-2022, બુધવાર

ભારતીય રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કે, ભારતમાં મૂળભૂત આર્થિક પ્રવૃત્તિઓ મજબૂત છે પરંતુ વૈશ્વિક પરિબળોને કારણે અર્થતંત્રને થોડું ‘નુકસાન’ થશે. RBIના ગર્વનરે જણાવ્યું હતું કે, RBI તેજીથી વધી રહેલા 70 સૂચકાંકો પર નજર રાખે છે અને આ સૂચકાંકો સારી પરિસ્થિતિમાં છે.

ભારતીય નાણાકીય ક્ષેત્ર વધુ સારી સ્થિતિમાં

શક્તિકાંત દાસે વધુમાં કહ્યું કે, બાહ્ય માંગની અસર અર્થતંત્રને પ્રભાવિત કરશે. RBI આ મહિનાની શરૂઆતમાં આગામી નાણાકીય વર્ષ 2023-24 માટે તેની વૃદ્ધિનું અનુમાન અગાઉના સાત ટકાથી ઘટાડીને 6.8 ટકા કર્યું. દાસે કહ્યું કે, ભારતીય નાણાંકીય ક્ષેત્ર વિવિધ પ્રકારના પરિવર્તન પર ચાલી રહ્યું છે અને ઘણી સારી સ્થિતિમાં છે, જેનો શ્રેય નિયમનકાર અને નાણાકીય ક્ષેત્રની કંપનીઓ બંનેને જાય છે. RBI ગર્વનરે કહ્યું કે, મોંઘવારી અને વૃદ્ધિ પર સ્થાનિક પરિબળો અંગે મોનેટરી પોલિસી માર્ગદર્શન આપતી રહેશે. ઉપરાંત મોનેટરી પોલિસી અમેરિકી ફેડરલ બેંકની કાર્યવાહી જેવા અન્ય ઇનપુટ્સને પણ ધ્યાનમાં લે છે.

ફુગાવાને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ

ફુગાવા અંગે RBIના ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કે, ફુગાવાને અંકુશમાં લેવા સરકાર અને કેન્દ્રીય બેંક વચ્ચે તમામ સંકલિત પ્રયાસો કરાયા છે. તેમણે કહ્યું કે, ડિપોઝિટ અને ક્રેડિટ વૃદ્ધિ વચ્ચે કોઈ મોટું અંતર નથી. આધાર તેમજ પ્રભાવ ડિપોઝિટ અને ક્રેડિટ વૃદ્ધિના આંકડા અલગથી દર્શાવે છે. તેમણે કહ્યું કે, 2 ડિસેમ્બર-2022 સુધીમાં ક્રેડિટ વૃદ્ધિ 19 લાખ કરોડ રૂપિયા હતી, જ્યારે ડિપોઝિટ વૃદ્ધિ 17.5 લાખ કરોડ રૂપિયા નોંધાઈ હતી.

Share: