કોંગ્રેસનો જવાબ : ગુજરાત ચૂંટણી વખતે કોરોનાના નિયમો સરકારને કેમ યાદ ન આવ્યા

કોંગ્રેસનો જવાબ : ગુજરાત ચૂંટણી વખતે કોરોનાના નિયમો સરકારને કેમ યાદ ન આવ્યા
Image : Twitter 

વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ભારત જોડો યાત્રાને મોકૂફ રાખવા અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. આ અંગે કોંગ્રેસે હવે ભાજપ સરકાર સામે વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ પલટ જવાબ આપતા કહ્યું કે, હું ભાજપને પૂછવા માંગુ છું કે શું વડાપ્રધાન મોદીએ ગુજરાત ચૂંટણી દરમિયાન કોરોના પ્રોટોકોલનું પાલન કર્યું હતું? વધુમાં તે બોલ્યા કે, મનસુખ માંડવિયાને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પસંદ નથી, પરંતુ લોકો તેને ખુબ પસંદ કરી રહ્યા છે અને તેમાં મોટી સંખ્યામાં  લોકો જોડાઈ રહ્યા છે. માંડવિયાની નિમણૂક લોકોનું ધ્યાન ભટકવા માટે કરવામાં આવી છે.

કાર્તિ ચિદમ્બરમે પણ કર્યા પ્રહાર 
કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે પણ માંડવિયાના પત્ર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું છે કે, મેં પત્ર જોયો નથી, પરંતુ આજે કોવિડ પ્રોટોકોલ ક્યાં છે? એવું લાગી રહ્યું છે કે, જાહેર સાર્વજનિક મેળાપોમાં લાગુ કરી શકાય તેવા COVID પ્રોટોકોલ આજે ક્યાય દેખાતા નથી. તે વચ્ચે ભારત જોડો યાત્રા પર અચાનક ધ્યાન કેમ? આ સિવાય ટીએમસી સાંસદ ડોના સેને પણ માંડવિયાના પત્ર પર સવાલ ઉઠાવ્યા છે. અમે સંસદમાં છીએ, પરંતુ માસ્ક પહેરવા કે અન્ય પગલાં લેવા માટે કોઈ પરિપત્ર આવ્યો નથી. રાજ્ય સરકારો પર વર્ચસ્વ જમાવવું એ કેન્દ્રની એકમાત્ર ફરજ નથી. તેની જવાબદારી જનતા પ્રત્યે છે, જેમાં તે નિષ્ફળ જાય છે, તેથી અમે તેની પાસેથી વધુ અપેક્ષા રાખતા નથી.

ભારત સરકાર દ્વારા પણ એલર્ટ અપાયુ
વિશ્વમાં વધી રહેલા કેસોને જોઈને ભારત સરકાર પણ એલર્ટ પર આવી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ આપી દીધુ છે. સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવા કોવિડ-પોઝિટિવ દર્દીઓના સેમ્પલ INSACOG લેબોરેટરીમાં મોકલવા જણાવ્યું છે જેથી કોરોનાનું નવું સ્વરૂપ જો હોય તો તેને ટ્રેક કરી શકાય. આ માટે કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને એક પત્ર લખી જાણ કરાઈ છે.

Share: