ગુજરાતના ગૌરવ સમાન આ બે સાઈટોનો યુનેસ્કોની હેરિટેજ યાદીમાં સમાવેશ, કેન્દ્રીય મંત્રીની જાહેરાત

ગુજરાતના ગૌરવ સમાન આ બે સાઈટોનો યુનેસ્કોની હેરિટેજ યાદીમાં સમાવેશ, કેન્દ્રીય મંત્રીની જાહેરાત
Image Wikipedia

તા. 20 ડીસેમ્બર 2022, મંગળવાર

ગુજરાતના ગૌરવમાં ફરી એકવાર વધારો થયો છે અને ગુજરાતના સમૃદ્ધ અને ઐતિહાસિક વારસાની ફરી એક વાર આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં ભારતના ત્રણ ઐતિહાસિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાંથી ગુજરાતના બે સ્થળોનો સમાવેશ થાય છે. ઐતિહાસિક નગરી વડનગર તેમજ મોઢેરાનું સૂર્ય મંદિરને વર્લ્ડ હેરિટેક સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

Image Wikipedia

ભારતમાં ત્રણ નવા સાંસ્કૃતિક સ્થળોને યુનેસ્કો (યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન) વર્લ્ડ હેરિટેજ સાઈટની કામચલાઉ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે, જેમાં મોઢેરાના ઐતિહાસિક સૂર્ય મંદિર, ગુજરાતના ઐતિહાસિક વડનગરનો સમાવેશ થાય છે. શહેર અને ત્રિપુરામાં ઉનાકોટીની શિલ્પકૃતિઓનો સમાવેશ થાય છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ મંગળવારે આ માહિતી આપી. 

કેન્દ્રીય મંત્રી જી.કિશન રેડ્ડીએ આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી છે. જેમા ઐતિહાસિક નગરી વડનગર તેમજ મોઢેરાનું સૂર્ય મંદિરને વર્લ્ડ હેરિટેક સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે ભારત પાસે હવે યુનેસ્કોની કામચલાઉ સૂચિમાં 52 સાઇટ્સનો સમાવેશ થઇ ચુક્યો છે. આ સૂચિ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને કુદરતી સંપત્તિ દર્શાવે છે અને આપણા વારસાની વિશાળ વિવિધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે ટ્વીટ કર્યું છે. ” ભારતને અભિનંદન! યુનેસ્કોની કામચલાઉ યાદીમાં ભારતે વધુ ત્રણ સ્થળો ઉમેર્યા છે જેમા ગુજરાતનું વડનગર બહુસ્તરીય ઐતિહાસિક શહેર, બીજુ મોઢેરાનું સૂર્ય મંદિર અને તેની આસપાસના સ્મારકો અને ત્રીજું ઉનાકોટી જિલ્લામાં પથ્થરની કોતરણીની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ”

મોઢેરાનું સૂર્યમંદિર સ્થાપત્ય અને સુશોભનમાં અજોડ નમુનો
મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ ખાતે આવેલું પ્રાચીન સૂર્ય મંદિર છે. તે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. તેને સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી દ્વારા ઇ.સ. 1026-1027 દરમિયાન બનાવવામાં આવ્યું હતું.  ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા તેની જાળવણી કરવામાં આવે છે. મંદિર સંકુલમાં ત્રણ ઘટકો છે, જેમાં ગૃહમંડપ, તીર્થમંડપ, સભામંડપ અને કુંડ. મુખ્ય મંડપમાં જટિલ રીતે થાંભલાઓ કોતરેલા છે. જળાશયમાં તળિયે અને અસંખ્ય નાના મંદિરો સુધી પહોંચવા માટે પગથિયાં બનાવવામાં આવેલ છે. 

મોઢેરા સૂર્ય મંદિર પાટણથી 30 કિમી અને મહેસાણાથી 25 કિમી જ્યારે અમદાવાદથી 106 કિમીના અંતરે પુષ્પાવતી નદીના કાંઠે આવેલું છે. મંદિરનું સ્થાપત્ય ગુર્જર શૈલીમાં છે. સભામંડપનું બાંધકામ ગૂઢમંડપની સાતત્યમાં નથી પણ થોડું દૂર એક અલગ બાંધકામ તરીકે છે. બંને બાંધકામો ઉંચા ચબૂતરા પર બંધાયેલ છે. 

વડનગર ઐતિહાસિક નગરી
વડનગર એ ગુજરાતના મહેસાણા જિલ્લા હેઠળનું નગર છે. બહુ-સ્તરીય ઐતિહાસિક નગરી વડનગરનો ઈતિહાસ પૂર્વે 8મી સદીની આસપાસનો છે. શહેરમાં હજુ પણ મોટી સંખ્યામાં ઐતિહાસિક ઇમારતો છે જે મુખ્યત્વે ધાર્મિક અને રહેણાંક પ્રકૃતિની છે. વડનગરમાં આવેલા રાષ્ટ્રીય મહત્વના સ્મારકોમાં અજપાલ કુંડ (ગૌરી કુંડ) અર્જુન બારી દરવાજો અને કિર્તી તોરણ નો સમાવેશ થાય છે. અન્ય સ્થળોમાં તાના-રીરીની સમાધિ, હાટકેશ્વર મહાદેવ, જૈન દેરાસર (હાથીદેરા), શર્મીસ્તા તળાવ, બોદ્ધ કાલીન અવશેષ, વડનગર મ્યુઝિયમ, આમથેર માતા મંદિર આ વડનગરના બહુ-સ્તરીય ઐતિહાસિક જોવાલાયક પૌરાણિક સ્થળો આવેલા છે. 

કેન્દ્રીય મંત્રી જી.કિશન રેડ્ડીએ આ અંગે ટ્વીટમાં વડનગર અને મોઢેરાના સૂર્ય મંદિર સાથે ત્રિપુરામાં આવેલ ઉનાકોટીના શિલ્પનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રિપુરાના ઉત્તર-પૂર્વ ભાગમાં સ્થિત, ઉનાકોટી શૈવ ધર્મ સાથે સંકળાયેલ એક પ્રાચીન પવિત્ર સ્થળ તરીકે જાણીતું છે. આ સાઇટ પર શિલ્પોની વિશાળ ગેલેરી છે જે જંગલની વચ્ચે અનોખી શૈલીમાં અસંખ્ય વિશાળ નીચી રાહત છબીઓ પ્રદર્શિત કરે છે, જે તેને માનવ સર્જનાત્મક પ્રતિભાની શ્રેષ્ઠ કૃતિ બનાવે છે.

Share: