મોરબી પાલિકાના સભ્યો ગાંધીનગર પહોંચ્યા, નગરપાલિકાને સુપરસીડ કરવાના નિર્ણય અંગે CMને રજૂઆત

મોરબી પાલિકાના સભ્યો ગાંધીનગર પહોંચ્યા, નગરપાલિકાને સુપરસીડ કરવાના નિર્ણય અંગે CMને રજૂઆત

ગાંધીનગર, 19 ડિસેમ્બર 2022, સોમવાર

મોરબી દુર્ઘટના બાદ નગરપાલિકા વધુ ચર્ચામાં આવી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી દેવાયા હતાં. પરંતુ હવે નગર પાલિકાને સુપરસીડ કરવા અંગેના નિર્ણયમાં ફેર વિચારણા થાય તેની રજૂઆત માટે પાલિકાના 40 જેટલા કોર્પોરેટરોએ ગાંધીનગરમાં ધામા નાંખ્યાં છે. તેઓ મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરશે. 

મોરબી પાલિકાના સભ્યોએ ગાંધીનગરમાં ધામા નાંખ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે મોરબી નગર પાલિકાને સુપરસીડ કરવા અંગેના નિર્ણયનો સ્થાનિક કોર્પોરેટરો જ વિરોધ કરી રહ્યાં છે. પાલિકાના 40 જેટલા કોર્પોરેટરો આજે ગાંધીનગર આવી પહોંચ્યાં છે. તેમનું કહેવું છે કે પાલિકાને સુપરસીડ કરવા અંગેના નિર્ણય પર સરકારે ફેર વિચારણા કરવી જોઈએ. જેના માટે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરીશું. 

તમામ લોકોને સહાય ચુકવાઈ ગઈ છેઃ MLA કાંતિ અમૃતિયા
જ્યારે મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પત્રકારોને કહ્યું હતું કે, દુર્ઘટનાની સહાય તમામ લોકોને ચૂકવી દેવામાં આવી છે. મોરબીને વધુ સુવિધાઓ આપવામાં આવશે તેવું તેમણે વચન આપ્યું હતું. આજે કાંતિ અમૃતિયા વિધાનસભામાં અધ્યક્ષની ઉમેદવારી ફોર્મ ભરવાની વિધી અગાઉ જોવા મળ્યા હતાં. 

મૃતકોને પરિવારને 10 લાખનું વળતર મળશે
મોરબી દુર્ઘટનાને લઈને તાજેતરમાં હાઈકોર્ટેમાં જાહેર હિતની અરજી પર સુનાવણી થઈ હતી. ગુજરાત માનવ અધિકાર આયોગે રિપોર્ટ રજૂ કર્યો હતો. પીડિતોને અપાયેલા વળતર અંગે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે, સરકારે જાહેર કરેલું વળતર ઓછું છે. મૃતકોને પરિવારને 10 લાખનું વળતર મળવું જોઈએ. તથા ઘાયલોને આપવામાં આવેલ 50-50 હજારનું વળતર પણ ઓછું છે. હાઈકોર્ટે આવા તમામ બ્રિજનો રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો છે. 10 દિવસમાં આવા તમામ બ્રિજનો રિપોર્ટ આપવા આદેશ આપ્યો છે. 

Share: