નરેન્દ્ર મોદીજી ‘ચીન પર ચર્ચા’ ક્યારે યોજાશે : કોંગ્રેસ અધ્યક્ષે PMને પૂછ્યો સવાલ

નરેન્દ્ર મોદીજી ‘ચીન પર ચર્ચા’ ક્યારે યોજાશે : કોંગ્રેસ અધ્યક્ષે PMને પૂછ્યો સવાલ
Image tweeted by – Mallikarjun Kharge

નવી દિલ્હી, તા.17 ડિસેમ્બર-2022, શનિવાર

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારની ટીકા કરી છે અને પૂછ્યું કે, આખરે દેશમાં ‘ચીન પર ચર્ચા’ ક્યારે થશે. ખડગેએ કહ્યું કે, શુક્રવારે ગૃહના અધ્યક્ષે તેમને આ મુદ્દા પર વાત કરવાનો અધિકાર આપ્યો હતો, તેમ છતાં તેમને રાજ્યસભામાં અરૂણાચલ પ્રદેશના ત્વાંગમાં થયેલા ભારત-ચીન ઘર્ષણ મુદ્દે બોલવાનr મંજુરી ન અપાઈ.

‘ચીન પર ચર્ચા’ ક્યારે : મલ્લિકાર્જુન ખડગેએ કર્યું ટ્વિટ

મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કરતા PM નરેન્દ્ર મોદીને ટેગ કરતા પૂછ્યું કે, ‘નરેન્દ્ર મોદીજી, ચીન પર ચર્ચા ક્યારે થશે.’ ‘નરેન્દ્ર મોદીજી કહો, દેશમાં ‘ચીન પર ચર્ચા’ ક્યારે થશે.’ પોતાના ટ્વિટમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ચીની સૈનિકો ડોકલામ વિસ્તારમાં સિલીગુડી કૉરિડોરની ખુબ જ નજીક ઝંફેરી રિઝ સુધી નિર્માણ કરી રહી છે, જે આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખુબ જ ચિંતાજનક બાબત છે. ‘નરેન્દ્ર મોદીજી કહો, દેશમાં ‘ચીન પર ચર્ચા’ ક્યારે થશે.’

‘યુદ્ધની તૈયારી કરી રહ્યું છે ચીન, સરકાર છુપાવી રહી છે સત્ય’

ચીન સૈનિકો દ્વારા નિર્માણ મુદ્દે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી બંનેએ દાવો કર્યો કે, ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાના 100માં દિવસે કહ્યું હતું કે, ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે, જોકે કેન્દ્ર સરકાર આ સંકટને અવગણી રહી છે અને સત્યને છુપાવી રહી છે.

ચીન ઘૂસણખોરી નહીં જંગની તૈયારીમાં : ખડગે

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, હાલની પરિસ્થિતિને જોતા હું એ કહી શકું છું કે, ચીન ઘૂસણખોરી નહીં પણ જંગની તૈયારી કરી રહ્યું છે. સંકટ સ્પષ્ટ છે, પરંતુ આપણી સરકાર ખતરાને અવગણી રહી છે. કેન્દ્ર  સત્યને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે, જોકે રાહુલ ગાંધીએ કહ્યું કે, આવી બાબતો વધુ દિવસ સુધી છુપાયેલી રહેતી નથી.

Share: