ભાજપના મુખ્યમંત્રીએ જાહેરમાં મંચ પરથી જ 2 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા

ભાજપના મુખ્યમંત્રીએ જાહેરમાં મંચ પરથી જ 2 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા
Image by – Chief Minister, MP

શિવપુરી, તા.17 ડિસેમ્બર-2022, શનિવાર

મધ્યપ્રદેશમાં શિવપુરી જિલ્લામાં આયોજીક કાર્યક્રમમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખરાબ પ્રદર્શન કરનારા અધિકારીઓને આડે હાથ લઈ બેદરકારી દાખવનાર બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

એક લાખ સરકારી જગ્યાઓ પર ભરતી કરાશે : MP CM

તેમણે વધુમાં કહ્યું કે, 15 ઓગસ્ટ-2023 સુધીમાં એક લાખ સરકારી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અને શિવપુરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની પ્રક્રિયા જલ્દીથી શરૂ કરાશે. ઉલ્લેખનિય છે કે, મધ્યપ્રદેશમાં આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.

સારું કામ કરનારા અધિકારીઓને હું ગળે લગાવીશ : શિવરાજસિંહ

ચૌહાણે જિલ્લામાં 134 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના કાર્યક્રમમાં કહ્યું કે, હું સારું કામ કરનારા અધિકારીઓને ગળે લગાવીશ અને મારા ખભા પર લઈ જઈશ, જોકે ખોટું કામ કરનારા અધિકારીઓને સહન કરીશ નહીં. આ કાર્યક્રમ દરમિયાન તેમણે કથિત બેદરકારી બદલ શિવપુરીના મુખ્ય મ્યુનિસિપલ ઓફિસર (CMO) અને પિચોર નગરના જુનિયર સપ્લાય ઓફિસરને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. તેમણે અમૃત સરોવર યોજનામાં સારી કામગીરી કરવા બદલ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ઉમરાવ સિંઘ સહિતના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા અને રમતગમત અધિકારી કે.કે. ખરેનું સન્માન કર્યું હતું.

શિવપુરી ભગવાન શિવની પવિત્ર નગરી છે : જ્યોતિરાદિત્ય

આ પ્રસંગે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, શિવપુરી ભગવાન શિવની પવિત્ર નગરી છે અને આ નગરીને વિકસીત કરવા મુખ્યમંત્રી તમામ પ્રયાસો કરશે. આ પ્રસંગે રમતગમત, યુવા કલ્યાણ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી યશોધરા રાજે સિંધિયા અને પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી મહેન્દ્ર સિંહ સિસોદિયાએ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Share: