ભાજપ કેટલી બેઠકો જીતશે : રીવાબા જાડેજાએ કરી આગાહી

ભાજપ કેટલી બેઠકો જીતશે : રીવાબા જાડેજાએ કરી આગાહી

અમદાવાદ, તા.25 નવેમ્બર 2022, શુક્રવાર

ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભા બેઠકોમાં સૌથી વધુ ચર્ચિત બેઠકો પૈકીની એક જામનગર ઉત્તરની બેઠક છે. આ બેઠક પર ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. રીવાબા જાડેજા પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. રીવાબાને અગાઉનો કોઈ અનુભવ નથી તેથી રીવાબા પોતાની જીત માટે સતત પ્રચાર કામમાં લાગી ગયા છે.

રીવાબા તાજેતરમાં જામનગર ઉત્તરમાં રોડ શો કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે, રાજ્યમાં ભાજપ કેટલી સીટો જીતી રહ્યું છે. ભાજપની જીતનો દાવો કરતા રીવાબાએ કહ્યું કે વર્ષોથી સત્તાપક્ષમાં રહેલી ભાજપ સરકારનું ગુજરાતમાં પ્રભુત્વ જળવાઈ રહેશે. આ વખતે ભાજપ ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંથી 150થી વધુ બેઠકો પર પોતાની જીત નોંધાવશે.

લોકો પાસેથી ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે : રિવાબા જાડેજા

ભાજપે આ વખતે ચૂંટણીમાં ઘણા નવા ચહેરાને ઉતાર્યા છે, જે અંગે રીવાબાનું કહેવું છે કે ભાજપનું આ પગલું સારું છે, જ્યાં સુધી કોઈ પણ યુવાનોને તક નહીં મળે ત્યાં સુધી તેઓ કોર મેમ્બર કેવી રીતે બનશે. આ સાથે તેમણે કહ્યું કે તેમની જાહેર સભાઓમાં જનતા તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

નયનાબા રિવાબા માટે પડકારરૂપ બની શકે છે

આ બેઠક પરથી રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા તેમની સામે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હોવાથી ચૂંટણી જીતવી રિવાબા માટે પડકારરૂપ બની શકશે. નયનાબા કોંગ્રેસ પાર્ટીમાં છે. નાયનાબા રીવાબા પર વિવિધ આક્ષેપો કરી રહ્યા છે. સૌથી પહેલા તેમણે કહ્યું કે રિવાબા ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ કરી રહ્યા છે. આ સિવાય તેમણે ચૂંટણી પ્રચારના પોસ્ટરમાં ભારતીય ટીમની જર્સીમાં રવિન્દ્ર જાડેજાનો ફોટાનો ઉપયોગ કર્યો છે. AAP ધારાસભ્યએ ચૂંટણી પ્રચારના પોસ્ટરમાં રવિન્દ્ર જાડેજાના ફોટાના ઉપયોગની સખત નિંદા કરતા કહ્યું હતું કે હવે રમતવીર પણ રાજકારણમાં ભાગ લઈ રહ્યા છે, જ્યારે પહેલા તેઓ રાજકારણથી દૂર રહેતા હતા.

Share: