કાશી તમિલ સંગમમ: તમિલના વારસાને બચાવવાની જવાબદારી 130 કરોડ દેશવાસીઓની છે – PM મોદી

કાશી તમિલ સંગમમ: તમિલના વારસાને બચાવવાની જવાબદારી 130 કરોડ દેશવાસીઓની છે – PM મોદી

-17 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી વારાણસી (કાશી)માં ‘કાશી તમિલ સંગમ’નું આયોજન કરવામાં આવ્યું છે.

નવી દિલ્હી,તા. 19 નવેમ્બર 2022, શનિવાર 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં એક મહિના સુધી ચાલનારા ‘કાશી તમિલ સંગમમ’નું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ વારાણસી પહોંચીને રિમોટ દ્વારા કાશી તમિલ સંગમમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. 17 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી વારાણસી (કાશી)માં ‘કાશી તમિલ સંગમ’નું આયોજન કરવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય દેશના બે સૌથી મહત્વપૂર્ણ અને પ્રાચીન જ્ઞાન કેન્દ્રો – તમિલનાડુ અને કાશી વચ્ચેના વર્ષો જૂના સંબંધોને ફરીથી ઉજાગર કરવા અને તેની ઉજવણી કરવાનો છે. આ દરમિયાન તમિલનાડુના હજારો શ્રદ્ધાળુઓ આ કાશી તમિલ સંગમમમાં જોડાયા હતા.

આપણી પાસે વિશ્વની સૌથી જૂની ભાષા તમિલ છે. આજ સુધી આ ભાષા એટલી જ લોકપ્રિય છે. આપણા 130 કરોડ દેશવાસીઓની જવાબદારી છે કે આપણે તમિલની આ વિરાસતને બચાવવાની સાથે તેને સમૃદ્ધ બનાવવાની છેઃ પીએમ મોદી

શું છે તેનો ઉદ્દેશ?

‘કાશી તમિલ સંગમમ’નું આયોજન ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા અન્ય મંત્રાલયો જેમ કે સંસ્કૃતિ, કાપડ, રેલ્વે, પ્રવાસન, ખાદ્ય પ્રક્રિયા, માહિતી અને પ્રસારણ અને ઉત્તર પ્રદેશ સરકાર અને IIT મદ્રાસ સહિત BHUના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. ઈવેન્ટનો ઉદ્દેશ્ય આ બંને ક્ષેત્રોના વિદ્વાનો, વિદ્યાર્થીઓ, ફિલોસોફરો, ઉદ્યોગપતિઓ, કારીગરો, કલાકારો અને જીવનના અન્ય ક્ષેત્રના લોકોને એકસાથે લાવવાનો, તેમના જ્ઞાન, સંસ્કૃતિ અને શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવાનો અને એકબીજાના અનુભવોમાંથી શીખવાનો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT)-મદ્રાસ અને બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) આ વિશિષ્ટ ઇવેન્ટ માટે બે અમલીકરણ એજન્સીઓ છે.

તમિલનાડુમાંથી 2500 મહેમાનો સામેલ થશે

વિદ્યાર્થીઓ, શિક્ષકો, સાહિત્ય, સંસ્કૃતિ, હસ્તકલા, આધ્યાત્મિકતા, વારસો, વ્યાપાર, ઉદ્યોગસાહસિકો, વ્યાવસાયિકો વગેરે સહિત 12 કેટેગરીમાં તમિલનાડુના 2,500 થી વધુ પ્રતિનિધિઓ વારાણસીની આઠ દિવસની મુલાકાતે આવશે. આ અંતર્ગત 200 વિદ્યાર્થી પ્રતિનિધિઓના પ્રથમ જૂથે 17 નવેમ્બરે ચેન્નાઈથી તેમનો પ્રવાસ શરૂ કર્યો હતો. વારાણસીના ડીએમ એસ રાજલિંગમે જણાવ્યું કે એક મહિનાના આ કાર્યક્રમમાં બંને રાજ્યોની સંસ્કૃતિ અને કલાની બેઠક છે જેમાં 12 જૂથોમાં તમિલનાડુથી લગભગ 2500 મહેમાનો કાશી આવશે. જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, વિદ્વાનો, કલાકારો, ખેડૂતોનો સમાવેશ થશે

Share: