BJPમાં માણસાઈ બચી નથી, બીમાર માણસની સારવારની મજાક ઉડાવી : મનીષ સિસોદિયા સ્પષ્ટતા

BJPમાં માણસાઈ બચી નથી, બીમાર માણસની સારવારની મજાક ઉડાવી : મનીષ સિસોદિયા સ્પષ્ટતા

સત્યેન્દ્ર જૈનના મસાજ વીડિયો મુદ્દે ભાજપે AAP પર આકરા પ્રહાર કરતા સિસોદિયાએ પ્રતિક્રિયા આપી

નવી દિલ્હી, તા. 19 નવેમ્બર 2022 શનિવાર

દિલ્હીના કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનનો તિહાડ જેલની અંદરનો મસાજનો વીડિયો સામે આવ્યા બાદ ભાજપ કેજરીવાલ સરકાર પર નિશાન સાધી રહી છે. ભાજપે પૂછ્યુ કે આ મામલે અરવિંદ કેજરીવાલ ચૂપ કેમ છે. આ સાથે જ સત્યેન્દ્ર જૈનને કેબિનેટ મંત્રીના પદ પરથી હટાવવાની માગ પણ કરી છે. ભાજપના આ આરોપોનો જવાબ આપતા દિલ્હી ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યુ કે ભાજપ બીમારીની સારવારની મજાક ઉડાવી રહી છે. 

ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ જણાવ્યુ કે AAP હવે SPA એટલે સપા મસાજ પાર્ટી બની ગઈ છે. આમ આદમી પાર્ટી, બદનામ દામ પાર્ટી બની ગઈ છે. અરવિંદ કેજરીવાલ આ મામલે ચૂપ કેમ છે. ભાટિયાએ સીએમ કેજરીવાલને પૂછ્યુ કે મહાઠગ કોણ છે અને કોના ઈશારે ઠગી થાય છે? ભાટિયાએ કેજરીવાલને પૂછ્યુ કે સત્યેન્દ્ર જૈનને કટ્ટર ઈમાનદારનુ સર્ટિફિકેટ કેવી રીતે આપી દીધુ. તમારા કટ્ટર ઈમાનદાર જેલમાં મસાજ લઈ રહ્યા છે. આ કટ્ટર ઠગને દિલ્હીના મંત્રી પદ પરથી કેમ હટાવવામાં આવ્યા નથી. અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રી પોતાને કાયદાથી ઉપર સમજે છે જો અરવિંદ કેજરીવાલમાં હિંમત હોય તો જણાવો, ક્યાં છુપાયા છો. 

વધુ વાંચો: આમ આદમી પાર્ટીના નેતા અને મંત્રી સત્યેન્દ્ર જૈનને જેલમાં પણ જલસા, મસાજનો વીડિયો વાયરલ

ભાજપ તરફથી લગાવવામાં આવેલા આરોપો પર ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યુ કે સત્યેન્દ્ર જૈનને ખોટા કેસમાં જેલમાં બંધ કરવામાં આવ્યા છે. ભાજપ બીમારીની સારવારની મજાક ઉડાવી રહી છે. દેશના વડાપ્રધાન પણ બીમાર પડી શકે છે. તેમને પણ સારવારની જરૂર પડી શકે છે પરંતુ વીડિયો જાહેર કરવો ખરાબ હરકત છે. સત્યેન્દ્ર જૈન 6 મહિનાથી જેલમાં કેદ છે. તેમને ત્યાં પડી જવાથી ઈજા પહોંચી છે. કરોડરજ્જુના હાડકા ડેમેજ છે. જૈનની બે સર્જરી પણ થઈ છે. સત્યેન્દ્ર જૈનને ડોક્ટરે ફિઝિયોની સલાહ પણ આપી હતી. તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યુ કે તે સત્યેન્દ્ર જૈનનો વીડિયો બતાવીને મજાક બનાવી રહ્યા છે કેમકે તે ગુજરાત અને એમસીડી ચૂંટણી હારી રહ્યા છે. ભાજપની અંદર કોઈ માણસાઈ વધી નથી. 

મનઘડત કહાનીઓથી મંત્રીને હટાવી શકાય નહીં

સિસોદિયાએ કહ્યુ કે કોર્ટે ઈડીને આદેશ આપ્યા હતા કે વીડિયો જારી ન થાય. આ કોર્ટના આદેશનુ ઉલ્લંઘન છે. ભાજપ એમસીડી ચૂંટણી બીમાર માણસના વીડિયો પર લડી રહી છે. તે ગમે તેટલો પ્રયત્ન કરે પરંતુ આમ આદમી પાર્ટી જ જીતશે. ભાજપની મનઘડત કહાનીઓના કારણે કોઈને મંત્રી પદ પરથી હટાવી શકાય નહીં.

વધુ વાંચો: સત્યેન્દ્ર જૈનને જેલમાં મળી રહેલી મસાજ સહિતની અન્ય સુવિધાઓ સામે EDએ કોર્ટમાં ફરિયાદ કરી

Share: