ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મોટો ફટકો: છોડા ઉદેપુરના ધારાસભ્ય રાઠવા કેસરિયો કરશે

ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મોટો ફટકો: છોડા ઉદેપુરના ધારાસભ્ય રાઠવા કેસરિયો કરશે

અમદાવાદ, તા. 8 નવેમ્બર 2022, મંગળવાર 

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં ગરમાવો વધી રહ્યો છે. કોંગ્રેસના એક બાદ એક ગઢમાં ગાબડું પડી રહ્યું છે જ્યારે ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસના વધુ એક ધારાસભ્યે પંજાનો હાથ છોડવાનો નિર્ણય કર્યો છે. ઐતિહાસિક રેકોર્ડ ધરાવતા કોંગ્રેસના છોટા ઉદેપુરના વર્તમાન ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. 

મળતી માહિતી પ્રમાણે છોટા ઉદેપુરના MLA રાઠવા આગામી થોડાક કલાકોમાંજ કેસરિયો ધારણ કરીને ભાજપમાં જોડાઈ શકે છે.

તેમણે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને પક્ષના તમામ પદેથી અને કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું મોકલાવ્યું છે. મોહનસિંહ રાઠવા ગુજરાત કોંગ્રેસના ટોચના દિગ્ગજ નેતા કહેવાય છે. રાઠવા છેલ્લા 55 વર્ષથી કોંગ્રેસના સક્રિય કાર્યકર રહ્યાં છે અને અચાનક આ રાજીનામું અનેક સવાલો ઉભા કરી જાય છે.

રાઠવા પાસે મોટી આદિવાસી વોટબેંક હોવાનું મનાઈ રહ્યું છે. આદિવાસી પૂર્વ પટ્ટીમાં રાઠવાનું મોટું નામ છે અને નરેન્દ્ર મોદીએ ગુજરાત ચૂંટણીની જાહેરાત બાદ પ્રથમ સભા આદિવાસી વિસ્તાર વલસાડના કપરાડામાં કરીને આદિવાસી મતબેંક કબ્જે કરવા સંકેત આપ્યા હતા અને આજે આ દિગ્ગજ નેતાનું ભાજપમાં જવું મોદીની મજબૂત પોલિટીકલ પ્લાનિંગના સંકેત છે.

Share: