અલવિદા નેતાજી: મુલાયમ સિંહ યાદવ પંચતત્વમાં વિલીન

અલવિદા નેતાજી: મુલાયમ સિંહ યાદવ પંચતત્વમાં વિલીન


– મુલાયમ સિંહ યાદવના પાર્થિવ દેહને સવારે 10:00 વાગ્યાથી અંતિમ દર્શન માટે સૈફઈ મેલા ગ્રાઉન્ડના પંડાલમાં રાખવામાં આવ્યો હતો

સૈફઈ, તા. 11 ઓક્ટોબર 2022, મંગળવાર

સમાજવાદી પાર્ટીના સ્થાપર, સરંક્ષક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના આજે તેમના પૈતૃક ગામ સૈફઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ‘નેતાજી’ પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. તેમના પાર્થિવ શરીરને સૈફઈના મેલા ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યું હતું. જ્યાં પોતાના લોક લાડીલા નેતાજીના અંતિમ દર્શન માટે લોકોની ભારે ભીડ ઉમટી હતી. રાજ્યના ખૂણે-ખૂણેથી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો ઉમટ્યા હતા. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમની કેબિનેટના અનેક મંત્રી સામેલ થયા હતા. સપાના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ આઝમ ખાન પણ તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમની સાથે તેમનો દીકરો અબ્દુલ્લા આઝમ પણ હાજર હતો. આજમ ખાનના ત્યાં પહોંચતા જ મુલાયમ સિંહનો પરિવાર ભાવુક થઈ ગયો હતો. 

મુલાયમ સિંહ યાદવના પાર્થિવ દેહને સવારે 10:00 વાગ્યાથી અંતિમ દર્શન માટે સૈફઈ મેલા ગ્રાઉન્ડના પંડાલમાં રાખવામાં આવ્યો હતો. મુલાયમ સિંહ યાદવનું સોમવારે નિધન થઈ ગયું હતું. 82 વર્ષની ઉંમરે તેમણે ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 

સપા પ્રમુખ શિવપાલ સિંહ યાદવ, સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવ, ભાજપ સાંસદ રીટા બહુગુણા જોશી અને અન્ય નેતાઓ અને સામાન્ય લોકોએ સૈફઈમાં દિગ્ગજ રાજનેતા મુલાયમ સિંહ યાદવને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.

વધુ વાંચો: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ‘નેતાજી’ મુલાયમ સિંહ યાદવનું નિધન

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત મુલાયમ સિંહના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે સૈફઈ પહોંચ્યા હતા. આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભામાં વિપક્ષના નેતા ચંદ્રબાબુ નાયડુ પણ મુલાયમ સિંહ યાદવના અંતિમ દર્શન કરવા માટે સૈફઈ પહોંચ્યા હતા અને ચંદ્રબાબુએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. 

Share: