ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અરૂણ બાલીનું 79 વર્ષની ઉંમરે અવસાન

ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અરૂણ બાલીનું 79 વર્ષની ઉંમરે અવસાન


– તેમણે ‘રાજુ બન ગયા જેન્ટલમેન’, ‘ખલનાયક’, ‘ફૂલ ઔર અંગારે’, ‘કેદારનાથ’, ‘થ્રી ઈડિયટ્સ’, ‘પાનીપત’ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું

મુંબઈ, તા. 07 ઓક્ટોબર 2022, શુક્રવાર

દિગ્ગજ અભિનેતા અરૂણ બાલીનું આજે વહેલી સવારે 4:30 કલાકે અવસાન થયું છે. તેઓ ઘણાં લાંબા સમયથી બીમાર હતા અને આજે મુંબઈ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે અનેક ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં એક્ટિંગના માધ્યમથી લોકોનું દિલ જીતી લીધું હતું. 

અરૂણ બાલી છેલ્લા ઘણાં સમયથી બીમાર હતા અને અમુક મહિના પહેલા તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ Myasthenia Gravis નામની એક દુર્લભ બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. આ બીમારી એક ઓટોઈમ્યુન બીમારી છે જે નર્વ્સ અને મસલ્સ વચ્ચે કોમ્યુનિકેશન ફેલિયરના કારણે થાય છે.

90ના દસકાથી કરિયરનો આરંભ 

અરૂણ બાલીએ 90ના દસકાથી પોતીની કરિયરની શરૂઆત કરી હતી અને તેઓ ‘રાજુ બન ગયા જેન્ટલમેન’, ‘ખલનાયક’, ‘ફૂલ ઔર અંગારે’, ‘કેદારનાથ’, ‘3 ઈડિયટ્સ’, ‘પાનીપત’ જેવી અનેક ફિલ્મોમાં કામ કરી ચુક્યા હતા. તે સિવાય તેઓ ‘બાબુલ કી દુઆએં લેતી જા’, ‘કુમકુમ’ જેવી અનેક સીરિયલ્સમાં પણ જોવા મળ્યા હતા. 

અરૂણ બાલીનો જન્મ 23 ડિસેમ્બર, 1942ના રોજ પંજાબના જાલંધર ખાતે થયો હતો. તેમણે અનેક સીરિયલ્સ અને સુપરહીટ ફિલ્મોમાં કામ કરેલું છે. તેમણે 1991માં પીરિયડ ડ્રામા ‘ચાણક્ય’ દ્વારા પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેઓ દૂરદર્શનની સીરિયલ ‘સ્વાભિમાન’માં જોવા મળ્યા હતા. 

અરૂણ બાલીએ 2000ની સાલમાં ‘હે રામ’ નામની ફિલ્મમાં કામ કર્યું હતું અને ક્રિટિક્સે ફિલ્મમાં તેમના કામને ખૂબ વખાણ્યું હતું. તેમને ‘કુમકુમ’ સીરિયલ દ્વારા ખૂબ લોકપ્રિયતા મળી હતી જેમાં તેઓ દાદાજીના રોલમાં જોવા મળ્યા હતા. 

તેમણે ‘3 ઈડિયટ્સ’, ‘પીકે’, ‘મનમર્જીયાં’, ‘બર્ફી’ સહિત 40થી પણ વધારે ફિલ્મોમાં કામ કરેલું હતું. 

Share: