દિલ્હી AAPના 5 નેતાઓ સામે ઉપરાજ્યપાલનો માનહાનિનો દાવો, રૂ. 2 કરોડ માંગ્યા

દિલ્હી AAPના 5 નેતાઓ સામે ઉપરાજ્યપાલનો માનહાનિનો દાવો, રૂ. 2 કરોડ માંગ્યા

– AAP અને તેના કેટલાક નેતાઓ ખોટા આરોપો લગાવી રહ્યા છેઃ સક્સેના

નવી દિલ્હી, તા. 23 સપ્ટેમ્બર 2022, શુક્રવાર

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ ગુરૂવારના રોજ AAPના 5 નેતાઓ સામે તેમના કથિત આરોપોને અનુલક્ષીને માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સક્સેનાએ ગુરૂવારના રોજ દિલ્હી હાઈકોર્ટને AAP અને તેના કેટલાક નેતાઓને તેમની અને તેમના પરિવાર ઉપર ખોટા આરોપો લગાવવાથી રોકવા વિનંતી કરી હતી. AAP નેતાઓએ દાવો કર્યો હતો કે, સક્સેના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) ના અધ્યક્ષ તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન રૂપિયા 1,400 કરોડના કૌભાંડમાં સામેલ હતા.

સક્સેનાએ 2 કરોડ રૂપિયાના નુકસાનની માંગણી કરતા હાઈકોર્ટને જણાવ્યું હતું કે, AAPએ આયોજિત હેતુ સાથે કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીથી લોકોનું ધ્યાન હટાવવા માટે આ આક્ષેપો કર્યા છે. 

આ ઉપરાંત તેમણે AAP અને તેના નેતાઓ આતિશી, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક, સંજય સિંહ અને જસ્મિન શાહ દ્વારા સોશિયલ મીડિયામાં સર્ક્યુલેટ કરાયેલા અને જારી કરાયેલા કથિત ખોટા અને અપમાનજનક પોસ્ટ અથવા ટ્વિટ અથવા વીડિયોને હટાવવાની સુચના આપવાની માંગણી કરી હતી. તેમણે AAP અને તેના 5 નેતાઓ પાસેથી વ્યાજ સહિત 2 કરોડ રૂપિયાના દંડ અને વળતરની માંગણી કરી હતી. 

સક્સેનાના વકીલે હાઈકોર્ટને ટ્વિટર અને યુટ્યુબને (Google Inc.) ને વિનય સક્સેના અને તેમના પરિવારના સભ્યોના ફોટોગ્રાફ્સ ટ્વિટસ, રિ-ટ્વિટ, પોસ્ટ, વીડિયો, કેપ્શન્સ, ટેગલાઈનને દૂર કરવા અથવા કાઢી નાખવાનો નિર્દેશ આપવા વિનંતી પણ કરી હતી. 

Share: