×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'ગુલામ' સાહેબ અત્યારે 'આઝાદ' થયા, અમેઠી 3 સાલ પહેલા થયું: સ્મૃતિ ઈરાની


- 'પહેલાના અમેઠી અને આજના અમેઠીમાં એટલો જ તફાવત છે કે પહેલા લોકો અહીં સત્તાને પોતાની જાગીર સમજતા હતા જ્યારે આજે અમેઠીમાં સત્તા નહીં પણ સેવાનો ભાવ છે'

નવી દિલ્હી, તા. 28 ઓગષ્ટ 2022, રવિવાર

પોતાના સંસદીય ક્ષેત્રની મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા હતા. સૂખી બાજગઢ અમૃત સરોવરના લોકાર્પણ બાદ સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસને ટાર્ગેટ કરીને કહ્યું હતું કે, ગુલામ નબી આઝાદ તો હવે 'આઝાદ' થયા પરંતુ અમેઠી તો ઘણાં સમય પહેલા જ 'આઝાદ' થઈ ચુક્યું છે. 

સ્મૃતિ ઈરાનીને ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડ્યું અને કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસીઓ જ પોતાના નેતૃત્વ અને ખાસ કરીને ગાંધી પરિવાર માટે ટિપ્પણી કરી રહ્યા છે, ત્યારે મારે ટિપ્પણી કરવાની કોઈ જરૂર જ નથી. બસ એટલું જ કહેવાનું છે કે, 'ગુલામ' સાહેબ અત્યારે 'આઝાદ' થયા, અમેઠી 3 સાલ પહેલા 'આઝાદ' થઈ ગયું હતું. આ સાથે જ તેમણે 'કુપોષણ મુક્ત અમેઠી'નો નારો પણ આપ્યો હતો.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધી અને સોનિયા ઉપર આકરા પ્રહારો કરી આઝાદે રાજીનામુ આપ્યું

ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને અમેઠીની બેઠક પર હરાવ્યા હતા. અમેઠી ગાંધી પરિવારની પરંપરાગત બેઠક છે અને સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી તે બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા. 

આ સાથે જ સ્મૃતિ ઈરાનીએ એમ પણ કહ્યું હતું કે, 'પહેલાના અમેઠી અને આજના અમેઠીમાં એટલો જ તફાવત છે કે પહેલા લોકો અહીં સત્તાને પોતાની જાગીર સમજતા હતા જ્યારે આજે અમેઠીમાં સત્તા નહીં પણ સેવાનો ભાવ છે અને તે આ માટે ઓળખાઈ રહ્યું છે.'