×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન પદેથી મુકેશ અંબાણીનું રાજીનામું

અમદાવાદ,તા.28 જુન 2022,મંગળવાર

ભારતના સૌથી મોટા ઉદ્યોપતિ અને એશિયાના સૌથી મોટા ધનકુબેર, રિલાયન્સ સમૂહના વડા મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે. અંબાણીએ 27મી જૂનના રોજ કંપનીના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે.

અહેવાલ અનુસાર રિલાયન્સ જિયોના ચેરમેનનો પદભાર હવે પુત્ર આકાશ અંબાણી સંભાળશે. આકાશ જિયોના બોર્ડમાં હાલ નોન એક્ઝયુકિટીવ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. 

નવેમ્બર મહિનાના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના કારોબારના ભાગલા કરીને પુત્રો અને દિકરીને વહેંચીને તેઓ કુશળ કર્તાહર્તા બન્યા બાદ રિટાયરમેન્ટ લઈ શકે છે તેવા અહેવાલ વહેતા થયા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર રિલાયન્સ જિયોએ નવા ચેરમેન તરીકે આકાશ અંબાણીના નામની સાથે પંકજ મોહન પવારને મેનેજિંગ ડાયરેક્ટર પદે નિમ્યાં છે. આ સાથે જિયોએ રમિન્દર સિંઘ અગ્રવાલ અને કેવી ચૌધરીને પણ પાંચ વર્ષ માટે સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે નિમ્યાં છે.

જોકે, મુકેશ અંબાણી જીયો પ્લેટફોર્મ લીમીટેડના ચેરમેન તરીકે ચાલુ રહેશે. જીયો પ્લેટફોર્મ લીમીટેડ જ રિલાયન્સ જીયો ઇન્ફોકોમની માલિક છે. જીયો પ્લેટફોર્મ થકી રિલાયન્સ તેની ટેલીકોમ, જીયો ફાઈબર, ટેકનોલોજી પ્રોડક્ટ અને અન્ય સેવાઓ આપે છે અને તેની એક પેટા કંપની રિલાયન્સ જીયો ઇન્ફોકોમના બોર્ડ ઉપરથી જ મુકેશ અંબાણી ખસી પુત્રને ચેરમેન બનાવ્યા છે. રિલાયન્સ જીયો ઇન્ફોકોમ ભારતમાં મોબાઈલ ટેલીકોમ સેવાઓ અને હાઈસ્પીડ જીયો ફાઈબર સેવાઓ પૂરી પાડે છે.  આ ઉપરાંત ટેલિકોમ, રિટેલ, ઓઈલ રિફાઈનિંગ સહિતના રિલાયન્સના બધા જ બિઝનેસની મુખ્ય કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પણ મુકેશ અંબાણી જ રહેશે.


આકાશ અંબાણી કોણ છે?

આકાશ અંબાણી મુકેશ અંબાણીના પુત્ર છે અને રિલાયન્સ જીયોના ટેલીકોમ લોન્ચથી, કંપનીના મોબાઈલ ફોન, દરેક ગ્રાહકો સુધી સસ્તા ભાવે મોબાઈલ, ટેકનોલોજી અને હાઈ સ્પીડ ઇન્ટરનેટ આપતા જીયો ફોનના લોન્ચ અને તેના ડેવલપમેન્ટમાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કંપનીના સુત્રોએ જણાવ્યું હતું. 

આકાશ અંબાણીએ બ્રાઉન યુનિવર્સીટીમાંથી ઇકોનોમિકસ સાથે સ્નાતકની ડીગ્રી મેળવી છે. વર્ષ ૨૦૧૭થી રિલાયન્સ જીયોના ટેલીકોમ ક્ષેત્રની દરેક કામગીરી સાથે આકાશ અંબાણી જોડાયેલા હતા. ભારતમાં 2G સેવાથી 4G સેવા સુધી દેશની મોબાઈલ સેવાઓ લઇ જવા અને ભારતમાં મોબાઈલ અને મોબાઈલ ઇન્ટરનેટ ક્ષેત્રે જીયોની ક્રાંતિકારી કામગીરીમાં આકાશની ભૂમિકા મહત્વની રહી છે. બ્લોકચેન, આર્ટીફીફીશીય્લ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ જેવી ચીજો અને નવી ટેકનોલોજી ક્ષેત્રે આકાશે કામગીરી કરી છે. વર્ષ ૨૦૨૦માં જીયોમાં વૈશ્વિક રોકાણકારોએ જે જંગી મૂડીરોકાણ કર્યું તેમાં આકાશની ભૂમિકા મહત્વની હોવાનું કોર્પોરેટ ક્ષેત્રના અગ્રણીઓ જણાવે છે.

  


(PC : GETTYIMAGES)

નવેમ્બરમાં ઉડેલી વાતો..........

એક વખત વિભાજનનો કડવો ઘૂંટડો જોઈ ચુકેલા મુકેશ અંબાણી એટલે જ વિશ્વના ટોચના ઉદ્યોગો અને કુટુંબોએ કઈ રીતે સંપત્તિ આવનારી જનરેશનને મળે એની વ્યવસ્થાનો અભ્યાસ શરૂ કર્યો છે જેથી સંપત્તિ સર્જનની ગતિ અટકે નહી, વિભાજનની દર્દભરી કહાની ફરી કુટુંબમાં જોવા મળે નહિ. મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીના ત્રણ સંતાન છે – બે પુત્ર અને એક પુત્રી, જાણકારોના જણાવ્યા અનુસાર મુકેશ અંબાણી એવી રીતે સંપત્તિની વારસાઈ ઉભી કરી રહ્યા છે કે કોઈ એક વ્યક્તિને કોઈ ચોક્કસ સંપત્તિ આપવી પડે નહી. અંબાણી કુટુંબના વડા તરીકે પોતે એક ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ બનાવશે જેમાં અંબાણી પરિવારની લીસ્ટેડ અને અન્ય કોઇપણ મિલકતનું હોલ્ડીંગ ટ્રાન્સફર કરવામાં આવશે. આ ટ્રસ્ટમાં કુટુંબના સભ્યો, વર્ષોથી અંબાણી પરિવાર સાથે જોડાયેલા કેટલાક ચુનંદા લોકો અને બહારના નિષ્ણાતો હશે. ટ્રસ્ટનું મુખ્ય કામ દેખરેખ રાખવાનું હશે અને વ્યવસાયિક રીતે જોડાયેલા લોકો બિઝનેસ ચલાવશે.