રાજ્યસભાની 16 બેઠકો પર કશ્મકશ: રાજસ્થાનમાં ભાજપનો ખેલ બગડે તેવી સ્થિતિ

રાજ્યસભાની 16 બેઠકો પર કશ્મકશ: રાજસ્થાનમાં ભાજપનો ખેલ બગડે તેવી સ્થિતિ

નવી દિલ્હી,તા. 10 જુન 2022,શુક્રવાર

દેશના ચાર રાજ્યોમાં રાજ્યસભાની 16 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે જેમાં રાજસ્થાનમાં ચાર, હરિયાણામાં બે, મહારાષ્ટ્રમાં છ અને કર્ણાટકમાં ચાર બેઠકોનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં ક્રોસવોટીંગના ભયના કારણે રાજકીય નેતાઓએ ધારાસભ્યોને સાચવવા રિસોર્ટ પોલિટીક્સ ચાલુ કર્યું હતું. રાજકીય પક્ષો પોતાના ધારાસભ્યોને બચાવવા મરણિયા બન્યા હતા.

રાજસ્થાનમાં આઠ અંકો પર જીતનું ગણિત છે. કોંગ્રેસના પ્રમોદ તિવારીથી કોંગ્રેસના આઠ ધારાસભ્યો નારાજ છે. બીજી તરફ ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રાને 33 મત છે અને વધુ આઠ મતોની જરૂર છે તેથી કોંગ્રેસે રિસોર્ટ પોલિટીક્સ કર્યું છે. રાજસ્થાનમાં કોંગ્રેસને બે અને ભાજપને એક બેઠક નિશ્ચિત છે. ચોથી બેઠક માટે કશ્મકશનો જંગ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતની પક્કડ મજબૂત છે. તેઓ નારાજ ધારાસભ્યોને સાચવી રહ્યાં છે. ક્રોસ વોટીંગના ભયથી તેમણે ધારાસભ્યોની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.

રાજસ્થાનમાં એક ઉમેદવારને જીતવા માટે 41 ધારાસભ્યોની જરૂર પડે છે. કોંગ્રેસના મુકુલ વાસનિક, રણદીપ સુરજેવાલા અને પ્રમોદ તિવારી મેદાનમાં છે. ત્રણેય ઉમેદવારોને 123 મતો જોઇએ છે જ્યારે સરકાર પાસે હાલ 126 ધારાસભ્યોનું સમર્થન છે જેમાંથી 107 કોંગ્રેસના છે. આઠ અપક્ષ ધારાસભ્યો છે. 

બીજીતરફ ભાજપના ઉમેદવાર ઘનશ્યામ તિવારીની જીત નિશ્ચિત છે. ભાજપ પાસે 71 ધારાસભ્યો છે. રાજસ્થાનમાં વસુંધરા રાજેની નજીકના શોભારાણીનો મત રદ્દબાતલ થયો છે જે ભાજપને ફટકારૂપ છે.

મહારાષ્ટ્રની ચૂંટણીમાં મત આપવા માટે નવાબ મલિકને બોમ્બે હાઇકોર્ટમાંથી રાહત મળી નથી.

હરિયાણામાં બે મત રદબાતલ થયાં છે. કિરણ ચૌધરી અને બીબી બત્રાએ એજન્ટ સિવાય અન્ય વ્યક્તિને મત બતાવ્યોછે. અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડુએ મતદાન નહીં કરવાની જાહેરાત કરી હતી. કર્ણાટકમાં ક્રોસવોટીંગ થયું છે. જેડીએસના ધારાસભ્ય શ્રીનિવાસ ગૌડાએ ક્રોસ વોટીંગ કરતાં જણાવ્યું છે કે મેં કોંગ્રેસના ઉમેદવારને મત આપ્યો છે કેમ કે તે મને ઉચિત લાગ્યું છે.

વધુ વાંચો: રાજ્યસભાની 16 બેઠકો પર મતદાનનો આરંભ, પાર્ટીઓને આ રાજ્યોમાં છે ક્રોસ વોટિંગનો ડર

બીજી તરફ મહારાષ્ટ્રમાં ભાજપને હરાવવા માટે ઓવૈસીની પાર્ટી AIMIMએ કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન પ્રતાપગઢીને સમર્થન આપ્યું છે. જો કે તેનો ફાયદો શિવસેનાને મળશે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા રાજસ્થાન BSP ના 6 ધારાસભ્યોએ પોતાનો મત આપ્યો છે. બસપામાંથી કોંગ્રેસમાં આવેલા આ ધારાસભ્યોએ મતદાન કર્યું છે. ભાજપે સુભાષ ચંન્દ્રાને સમર્થન આપ્યું છે. ભાજપના એક ઉમેદવારની જીત નિશ્ચિત છે અને સરપ્લસ મતો સુભાષ ચંદ્રાને આપવામાં આવી રહ્યાં છે.

રાજ ઠાકરેની પાર્ટી MNS એ શિવસેના પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે શિવસેનાએ ઓવૈસીનું સમર્થન લીધું છે, તેથી તેમનું હિન્દુત્વ ખુલ્લું પડી ગયું છે. તેઓ નિઝામના વંશજો પાસેથી પણ સમર્થન લેવા માટે અચકાતા નથી. શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે મહાવિકાસ અઘાડીના તમામ ઉમેદવારો જીત નોંધાવશે. તેમણે કહ્યું કે અમારી પાસે પૂરતુ સમર્થન છે.

Share: